રાષ્ટ્રપતિ મૂર્મૂ અને ઉપરાષ્ટ્રપતિએ સંસદમાં ડૉ. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
ભારતીય બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સમારંભમાં હાજર બૌદ્ધ સાધુઓ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા
આંબેડકર જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સહિત અનેક અગ્રણી નેતાઓ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ પર બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના લશ્કરી છાવણી (મહૂ)માં જન્મેલા ડૉ. આંબેડકર એક મહાન કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને રાજકારણી હતા. ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકે, તેમણે બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષપદ સંભાળ્યું અને બાદમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના મંત્રીમંડળમાં કાયદા અને ન્યાય મંત્રી તરીકે સેવા આપી હતી.
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું જીવન પ્રેરણાદાયક: રાષ્ટ્રપતિ
આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "આપણા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે, હું તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. બાબાસાહેબે તેમના પ્રેરણાદાયી જીવનમાં અપાર મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પોતાની આગવી ઓળખ બનાવી અને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સમગ્ર વિશ્વમાં માન મેળવ્યું."
બાબા સાહેબની પ્રેરણાથી દેશ પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ આપી અને કહ્યું કે, તેમની પ્રેરણાને કારણે દેશ પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યો છે. PM મોદીએ ટ્વિટર પર લખ્યું કે, "તમામ દેશવાસીઓ વતી, હું ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. તેમની પ્રેરણાને કારણે જ દેશ આજે સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે."