રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં મળશે રાહત, સરકાર નવી યોજના લાવશે: નીતિન ગડકરી
Live TV
-
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતા વાહનો પર વસૂલવામાં આવતા ટોલ પર મુસાફરો માટે મોટી રાહતની જાહેરાત કરશે.
સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના વપરાશકર્તાઓને લાભ આપવા માટે એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે. "અમારું સંશોધન પૂર્ણ થયું છે અને યોજનાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ રજૂ કરવા પર કામ કરી રહી છે. આનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિકનો પ્રવાહ સરળ બનશે.
ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવે છે. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 1,46,195 કિમી છે. 2023-24 માં દેશનો ટોલ કલેક્શન રૂ. 64,809 કરોડ પર પહોંચ્યો, જે ગયા વર્ષ કરતાં 35 ટકા વધુ છે. કેન્દ્રીય મંત્રી ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લગભગ એક અઠવાડિયા પહેલા સામાન્ય બજેટ 2025-26માં નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 12.75 લાખ રૂપિયા કરી દીધી છે. આના કારણે સરકારની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. બીજી બાજુ, સામાન્ય માણસના હાથમાં વધુ પૈસા હશે અને લોકો પહેલા કરતાં વધુ ખર્ચ કરી શકશે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે યમુનાને સાફ કરવામાં આવશે અને નદીના દિલ્હી ભાગનો ઉપયોગ સી-પ્લેન માટે લેન્ડિંગ સ્ટ્રીપ તરીકે પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ગુજરાતના સાબરમતીમાં સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે.
