લોકસભા અધ્યક્ષ, પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોએ, ભગવાન પરશુરામ જયંતી અને અક્ષય તૃતીયાની શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાના પાવન પર્વ પર આજે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.
બિરલાએ એક્સ પર જણાવ્યું હતું કે, "ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાના પાવન પર્વ પર સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ! આવો, આ પાવન અવસર પર આપણે ભગવાન પરશુરામના આદર્શોને જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લઈએ અને એક ન્યાયપૂર્ણ, સશક્ત તેમજ મૂલ્ય આધારિત સમાજના નિર્માણમાં આપણું યોગદાન આપીએ. ભગવાન શ્રી હરિને પ્રાર્થના છે કે, અક્ષય તૃતીયા પર્વ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નવી ઉર્જા લઈને આવે તથા દરેક ઘરમાં ખુશાલી અને સકારાત્મકતાનો સંચાર કરે."
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા આપણને અન્યાય સામે લડવાની અને સત્યના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા મળે છે. તેમના આશીર્વાદ સૌના જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આલોકિત કરે. અક્ષય તૃતીયા પર્વ આપણને સત્કર્મ, દાન અને સેવાના માર્ગ પર અગ્રેસર રહેવાની પ્રેરણા આપે છે. આ અવસર દરેક વ્યક્તિના જીવનમાં સુખ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે. સૌને અક્ષય ફળની પ્રાપ્તિ થાય, એવી જ કામના છે.
અમિત શાહે કહ્યું કે, ધર્મરક્ષા અને ન્યાયપ્રિયતાના પ્રતીક એવા ભગવાન પરશુરામ પાસે દેશવાસીઓના કલ્યાણની કામના કરું છું. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, તેઓ આપણા માટે જ્ઞાન અને પરાક્રમના પ્રતીક છે. મારી કામના છે કે તેમની કૃપાથી આપ સૌનું જીવન સાહસ, વિદ્યા અને વિવેકથી પરિપૂર્ણ બને. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમારી પ્રાર્થના છે કે, તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશાલીનો વાસ હોય.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ન્યાય અને ધર્મની પ્રતિમૂર્તિ ભગવાન શ્રી પરશુરામની કૃપા અને આશીર્વાદ સૌ પર સદાય રહે, સૌનું મંગળ અને કલ્યાણ થાય, એવી જ પ્રાર્થના છે.
