સરદાર પટેલની જન્મજયંતિ: પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને 'રન ફોર યુનિટી'માં ભાગ લેવા માટે કરી ખાસ અપીલ
Live TV
-
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આ વર્ષે ખાસ રીતે ઉજવવામાં આવી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે દેશભરમાં 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભાગ લેવા અપીલ કરી છે.
'એકતા દિવસ ભારત'ના સત્તાવાર 'X' એકાઉન્ટ દ્વારા એકતા દિવસ પર પોસ્ટ કરાયેલા એક વિડીયોને ફરીથી પોસ્ટ કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, "31 ઓક્ટોબરે 'રન ફોર યુનિટી'માં જોડાઓ અને એકતાની ભાવનાની ઉજવણી કરો! ચાલો આપણે સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નનું સન્માન કરીએ."
'રન ફોર યુનિટી' દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ પર યોજવામાં આવે છે. 'એકતા દિવસ ભારત'ના સત્તાવાર 'X' એકાઉન્ટ પરથી એક વિડીયો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો.પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "આપણી વિવિધતા ભારતનો આત્મા છે, અને સરદાર પટેલે આ વિવિધતાને એકતામાં વણી લીધી છે. વડા પ્રધાન મોદી તે દ્રષ્ટિકોણને આગળ ધપાવી રહ્યા છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવો, 'રન ફોર યુનિટી'માં જોડાઓ અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને વધુ મજબૂત બનાવો."
રવિવારે, પ્રધાનમંત્રી મોદીએ લોકપ્રિય રેડિયો કાર્યક્રમ "મન કી બાત" ના127 મા એપિસોડમાં કહ્યું, "સરદાર પટેલ આધુનિક સમયમાં રાષ્ટ્રના મહાન વ્યક્તિઓમાંના એક હતા. તેમના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વમાં ઘણા ગુણો છે."લોકોને અપીલ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, "હું તમને બધાને 31ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મજયંતિ પર દેશભરમાં યોજાઈ રહેલી 'રન ફોર યુનિટી'માં ભાગ લેવા વિનંતી કરું છું."
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગાંધીજીથી પ્રેરિત થઈને, સરદાર પટેલે સ્વતંત્રતા ચળવળમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા હતા. ખેડા સત્યાગ્રહથી લઈને બોરસદ સત્યાગ્રહ સુધીના અનેક આંદોલનોમાં તેમનું યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે.
