31માર્ચ 2026 પહેલાં આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું: અમિત શાહ
Live TV
-
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આને ભારતને નક્સલમુક્ત બનાવવાની દિશામાં સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે 31 માર્ચ, 2026 પહેલા, અમે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં, નક્સલીઓનો ગઢ ગણાતા નેશનલ પાર્ક વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ કાર્યવાહીમાં 650 થી વધુ સુરક્ષા દળોએ ભાગ લીધો હતો અને નક્સલીઓના ઠેકાણાઓને ચારે બાજુથી ઘેરી લઈને હુમલો કર્યો હતો. જોકે, આ કાર્યવાહીમાં બે સૈનિકો શહીદ થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા જેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે નક્સલમુક્ત ભારત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે આજે આપણે માનવતા વિરોધી નક્સલવાદનો અંત લાવવામાં આપણા બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી.
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ફરી એક વાર સંકલ્પ વ્યક્ત કર્યો કે ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.
દરમિયાન, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ સૈનિકોની શહાદત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે "સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય." તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં છત્તીસગઢ માર્ચ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે.