CBSE ઓનલાઇન માર્કિંગ વિવાદ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એક્શનમાં, કહ્યું- "જવાબદારો સામે કડક કાર્યવાહી થશે"
Live TV
-
CBSE ઓનલાઇન માર્કિંગ વિવાદ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એક્શનમાં, કહ્યું- "જવાબદારો સામે કડક કાર્યવાહી થશે"
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ધોરણ 12ની પરીક્ષાના પરિણામો બાદ શરૂ થયેલા 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હી સ્થિત CBSE હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થીઓનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સિસ્ટમમાં આવેલી ખામીઓ અને અવ્યવસ્થા માટે જે પણ લોકો જવાબદાર હશે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં જેમના પણ નામ સામે આવશે, તેમાંથી કોઈને પણ છોડવામાં નહીં આવે."
શિક્ષણ મંત્રીએ આ સમગ્ર મામલાની નૈતિક જવાબદારી સ્વીકારતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ સમસ્યાનું યોગ્ય નિવારણ લાવી દેવામાં આવશે અને કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય થવા દેવાશે નહીં.
શા માટે સર્જાયો છે આ વિવાદ?
CBSE દ્વારા આ વર્ષે પ્રથમ વખત ધોરણ 12ના મૂલ્યાંકન માટે ડિજિટલ એટલે કે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી. આ સિસ્ટમ હેઠળ અંદાજે 17 લાખ વિદ્યાર્થીઓની 98 લાખ ઉત્તરવહીઓ (આશરે 40 કરોડ પેજ) સ્કેન કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આઈઆઈટી (IIT) ના નિષ્ણાતોની લેવાશે મદદ
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પોર્ટલની ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે IIT મદ્રાસ અને IIT કાનપુરના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત, પેમેન્ટની સમસ્યાને હલ કરવા માટે દેશની 4 મોટી સરકારી બેંકો (SBI, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક અને કેનરા બેંક) ના પેમેન્ટ ગેટવેને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રીની અપીલ:
"આ સમયે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી તમામ રાજકીય પક્ષો અને લોકોને મારી વિનંતી છે કે આ વિષય પર રાજકારણ કરવાના બદલે વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થાય તેવા પ્રયાસો કરીએ. બોર્ડ દ્વારા રી-ઈવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) ની પ્રક્રિયા ઝડપથી અને સચોટ રીતે શરૂ કરી દેવામાં આવી છે."
