PM નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીથી કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે
Live TV
-
PM નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીથી PM કિસાન યોજના હેઠળ રૂ. 20,000 કરોડનો 17મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે કહ્યું કે, ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી, પીએમ કિસાન યોજના હેઠળ 20,000 કરોડ રૂપિયાથી વધુનો 17મો હપ્તો પ્રથમ વારાણસીથી 9.26 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી અહીં 30,000થી વધુ સ્વ-સહાય જૂથો (SHG)ને કૃષિ સખીઓ તરીકે પ્રમાણપત્રો પણ પ્રદાન કરશે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, કિસાન સન્માન નિધિ 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેનો ઉદ્દેશ્ય જમીન ધરાવતા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવાનો છે. ભારત સરકારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 3.04 લાખ કરોડથી વધુનું વિતરણ કર્યું છે. આ વખતે યોજનાની શરૂઆતથી લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ 3.24 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ, દર ચાર મહિને 3 સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ (DBT) દ્વારા દેશભરના ખેડૂતોના પરિવારોના બેંક ખાતામાં પ્રતિ વર્ષ 6,000 રૂપિયાનો નાણાકીય લાભ ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ 4 કરોડથી વધુ ખેડૂતોને આર્થિક સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. વૈશ્વિક ભાવમાં વધારો થવા છતાં 11 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપીને ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર આપવાનું કામ ચાલુ છે.
