PM મોદી સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સાંસદોને મળ્યા, સાંસદોએ પોતાના અનુભવો શેર કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મંગળવારે વિવિધ દેશોની મુલાકાત લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિમંડળોના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પ્રધાનમંત્રી નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાઈ હતી. આ દરમિયાન ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક છબી અને પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ વિવિધ પક્ષોના સાંસદોએ પણ પ્રતિક્રિયા આપી અને પ્રધાનમંત્રી સાથેની તેમની વાતચીત વિશે માહિતીનું આદાનપ્રધાન કર્યું હતું. જેમાં શિવસેનાના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રીએ સાતેય પ્રતિનિધિમંડળોને એકસાથે આમંત્રણ આપ્યું હતું અને તેમણે તે બધા સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી, જેમાં પ્રધાનમંત્રી દરેક ટેબલ પર ગયા અને વિવિધ પક્ષોના પ્રતિનિધિઓના અનુભવોને જાણ્યા હતા. શિંદેએ કહ્યું કે, ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે અન્ય દેશો સાથે ભારતના સંબંધો કેવી રીતે સુધારી શકાય અને વિદેશમાં ભારતની કેવા પ્રકારની છબી ઉભરી આવી છે.
તેમણે કહ્યું કે, આફ્રિકન દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ સર્વસંમતિથી ભારતની છબી મજબૂત કરવા વિશે વાત કરી. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ બેઠકને પ્રોત્સાહક ગણાવી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને અભિનંદન આપ્યા અને કહ્યું કે અમને સોંપવામાં આવેલ મિશન કાં તો સંપૂર્ણપણે સફળ થયું છે અથવા લગભગ પૂર્ણ થયું છે, જે ખૂબ જ પ્રેરણાદાયક હતું.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ દરેકને તેમના અનુભવો પૂછ્યા અને ખુલ્લા વાતાવરણમાં વાતચીત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આપણે લોકશાહીમાં રહીએ છીએ, જ્યાં વિપક્ષ પ્રશ્નો પૂછશે અને જેમ શાસક પક્ષ વિવિધ સ્થળોએ રેલીઓ કાઢે છે, તેમ વિરોધી અવાજો પણ સ્વાભાવિક છે. તેમણે તેને લોકશાહીની જીવંતતાનું પ્રતીક ગણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ અશોક કુમાર મિત્તલે પ્રધાનમંત્રી મોદીની આ પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ તમામ પ્રતિનિધિમંડળોને આમંત્રણ આપ્યું અને તેમની સાથે દિલથી વાતચીત કરી હતી. તેમણે દરેક સભ્ય સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમનો અનુભવ કેવો રહ્યો, તેમણે શું શીખ્યા અને ભવિષ્યની વ્યૂહરચનાઓ સુધારવામાં કયા સૂચનો મદદ કરી શકે છે.
મિત્તલે કહ્યું કે, તેમણે પ્રધાનમંત્રીને વિદેશમાં ભારતને કેવી રીતે રજૂ કરવું તે અંગે સૂચનો આપ્યા અને ભાર મૂક્યો કે ભારત હવે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના સાંસદ મનન મિશ્રાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ આપણા બધાને ફોન કર્યો હતો, બેઠક સારી રહી. તેમણે અમને અભિનંદન આપ્યા અને કહ્યું કે ભવિષ્યમાં પણ આવી મુલાકાતો થવી જોઈએ. આ દરમિયાન ઘણા વિપક્ષી નેતાઓ પણ હાજર હતા.