ચૈત્રી નવરાત્રિ: પાંચમા નોરતે ‘મા સ્કંદમાતા’ની આરાધના
Live TV
-
ચૈત્રી નવરાત્રિ: પાંચમા નોરતે ‘મા સ્કંદમાતા’ની આરાધના, શક્તિપીઠોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
આદ્યશક્તિની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિના આજે પાંચમા દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક મા દુર્ગાના પાંચમા સ્વરૂપ ‘મા સ્કંદમાતા’ની પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ દિવસ ભક્તિ અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ માનવામાં આવે છે.
વાત્સલ્યની મૂર્તિ: મા સ્કંદમાતા
પૌરાણિક માન્યતા મુજબ, મા દુર્ગાએ આ સ્વરૂપમાં ભગવાન કાર્તિકેય (સ્કંદ) ને જન્મ આપ્યો હતો, જેના કારણે તેઓ ‘સ્કંદમાતા’ તરીકે ઓળખાય છે.
ચાર ભુજાધારી માતાજી કમળના આસન પર બિરાજમાન હોવાથી તેમને ‘પદ્માસના’ પણ કહેવામાં આવે છે. તેમની ગોદમાં ભગવાન સ્કંદ બિરાજમાન છે. એવી માન્યતા છે કે મા સ્કંદમાતાની સાચા મનથી પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતના શક્તિપીઠોમાં ભક્તિનો માહોલ
પાંચમા નોરતાના અવસરે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી અને પાવાગઢ પર્વત પર બિરાજમાન મા અંબા અને મા કાલિકાના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. બહુચરાજી મા બહુચરના ધામે પણ ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને આનંદના ગરબાના નાદ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે. ચોટીલા ડુંગર પર બિરાજમાન મા ચામુંડાના દર્શને પહોંચેલા શ્રદ્ધાળુઓથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.
સમગ્ર રાજ્યમાં નવરાત્રિના કારણે વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને મંદિરોમાં વિશેષ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
