જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપકભાઈ દરજીએ તમામ પ્રાથમિક શાળાઓમાં દૈનિક સ્વચ્છતા માટે અનોખી પહેલ કરી
Live TV
-
સુરત જિલ્લાની ૯૩૮ પ્રાથમિક શાળાઓના આચાર્ય-શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સાફ-સફાઈ અભિયાનમાં જોડાઈને શાળાને સ્વચ્છ રાખશે
રાજ્યના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો તાજેતરમાં સ્વચ્છતા પ્રત્યેનો ઉમદા અભિગમ ઉજાગર થયો છે. શિક્ષણમંત્રીએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ અસ્વચ્છ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી અને શિક્ષણના મંદિર સમાન શાળાઓમાં સાફ-સફાઈ સંદર્ભે રાજ્યભરની સરકારી, ખાનગી શાળાઓ માટે અનોખો સંદેશ પ્રસ્તુત કર્યો હતો.
મંત્રીના આ કાર્યમાંથી પ્રેરણા લઈને સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી દિપકભાઈ દરજીએ સુરત જિલ્લાની ૯૩૮ પ્રાથમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને શાળાની સાફ-સફાઈ જાતે કરવાનો અનુરોધ કર્યો હતો, શાળાઓએ આ પહેલને આવકારી પોતપોતાની શાળાના બાથરૂમ અને શૌચાલયની પ્રતિદિન સફાઈ કામગીરી જાતે આરંભી દીધી છે, આ અભિયાનમાં શ્રમદાન માટે વાલીઓ પણ જોડાઈ રહ્યા છે.
‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એમ જણાવતા દિપક દરજીએ જણાવ્યું હતું કે, સરસ્વતી દેવીના મંદિર શાળાઓમાં સ્વચ્છતા હશે તો અભ્યાસ માટે પ્રેરક વાતાવરણનું નિર્માણ થશે. સુરત જિલ્લામાં ૯૩૮ પ્રાથમિક સરકારી શાળાઓ છે, જ્યાં હવેથી દૈનિક ધોરણે સફાઈ કરવામાં આવશે અને આ કામગીરીનું મોનિટરીંગ પણ કરવામાં આવશે. શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ડુંગરા પ્રા.શાળાની મુલાકાત લઈને જાતે શૌચાલયની સાફ-સફાઈ કરી હતી. જે તમામ શાળાના આચાર્ય-શિક્ષકગણ, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્વરૂપ બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મંત્રી પ્રફુલભાઈ સ્વચ્છતા માટે આગળ આવે તો આપણે કેમ નહીં? એમ જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું કે, શાળાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે દરેક આચાર્યને વોટ્સએપ ગ્રુપમાં સંદેશ પાઠવી પોતાની શાળાને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે જણાવ્યું હતું, જેને ધ્યાને લઈ શાળાઓએ પોતપોતાની શાળાના બાથરૂમ અને શૌચાલયની જાતે જ સાફ-સફાઈ કરીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો છે.
