ધોળકા ખાતે વૌઠા મેળો-2023ના આયોજન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીટીંગનું આયોજન
Live TV
-
સર્કીટ હાઉસ, ધોળકા ખાતે વૌઠાનો મેળો-2023ના આયોજન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજાયેલ હતી. બેઠકમાં પૂર્વ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા, ધોળકા વિધાનસભા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ઈ.ચા. કલેક્ટર મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, પ્રાંત અધિકારી ધોળકા તથા સંકલનના અધિકારીઓ હાજર આપી હતી. ઉક્ત બેઠકમાં આગામી વૌઠા મેળો-2023ના સુચારુ સંચાલન માટે ચર્ચા કરવામાં આવી તથા સંબંધિત અધિકારીઓને તેઓને લગત કામગીરી માટે જરૂરી સુચના આપવામાં આવી.
ગુજરાતના કચ્છ-કાઠીયાવાડના વિવિધ ગામો અને રાજસ્થાનથી લોકો આ મેળામાં ભાગ લેવા આવે છે. અને આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં પાંચ હજારથી છ હજાર ગધેડાઓના વેચાણ કરવામાં આવતા તો એક યુગમાં કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી હોય છે. જોકે આ મેળામાં માત્ર ગધેડાનું ખરીદ-વેચાણ નહીં, પરંતુ ઘોડા, ઊંટ, ઘેટા-બકરા જેવા ઘણાં પ્રાણીઓના વેચાણ માટે લોકો અહીં આવે છે. જોકે આ ગદર્ભમેળામાં ખરગધા અને ખચ્ચરગધા તરીકે ઓળખાતી ગધેડાની જાતો સૌથી વધારે કિંમતે વેચાય છે. ભાતીગળ એવા વૌઠાના મેળામાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે જે નિહાળવા વિદેશીઓ પણ આવે છે.
અગિયારશથી શરૂ થતો આ મેળો સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીના સપ્તનદી સંગમ સ્થાન ઉપર ભરાય છે. તેનું પૌરાણિક મહત્વ પણ છે. મેળામાં નદીના પટમાં ધોળકા શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પાંચ દિવસના મેળા દરમ્યાન ત્યાં તે ત્યાં તંબુ બાંધી તેમના પરિવાર સાથે રહે છે અને મેળાની મઝા માણે છે, તેવા અનેક પરિવાર રહેવા આવે છે અને આખો નદીનો પટ તંબુથી ઉભરાઇ જાય છે. વૌઠા ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા પીવાનું પાણી, લાઇટ, સાફ-સફાઇ, શૌચાલયની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. યાત્રિકો, વેપારીઓને જરૂરી સગવડ- વ્યવસ્થા મળી રહે તે માટે ગ્રામ પંચાયતના સભ્યો, તા.પં. વહીવટ તંત્ર, જિ.પં.ના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ મેળામાં સતત દેખરેખ રાખી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
