“સબમેં મૈં હું ઔર સબ મુઝમેં હૈ” આવી દૃષ્ટિ હશે ત્યારે સામાજિક હિંસા રોકાશે: મોહન ભાગવત
Live TV
-
સરસંઘચાલક મોહન ભાગવતે આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી. મોહન ભાગવતે કહ્યું કે અમે દેશ માટે કામ કરીએ છીએ જેને 100 વર્ષ પૂર્ણ થયા, આ અમારું કર્તવ્ય હતું તેના માટે કોઈ ઉજવણી કરવાની આવશ્યકતા નથી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં ઉદબોધન કરતાં તેમણે કહ્યું કે, "હું દરવર્ષે અહીંયા બેટરી ચાર્જ કરવા માટે આવું છું. વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્યનો આધાર નૈતિકતા છે અને નૈતિકતાનો આધાર આધ્યાત્મ છે, કેમ કે આધ્યાત્મ વિના નૈતિકતાનો કોઈ અર્થ નથી." એટલા માટે હું એવા સ્થાનો પર જાઉં છું જ્યાંથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ, એના માટે જે ચાર્જિંગ જોઈએ એ અમને મળી રહે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતવર્ષના સામાન્ય જીવનમાં પણ પ્રેરણા તો પરંપરાથી આધ્યાત્મિક ઉપદેશોની જ છે.
આચાર્ય મહાશ્રમણજીના અહિંસાના ઉપદેશનો ઉલ્લેખ કરતા મોહનજીએ કહ્યું કે “સબમેં મૈં હું ઔર સબ મુઝમેં હૈ”આવી દૃષ્ટિ હશે ત્યારે સામાજિક હિંસા રોકાશે. હમણાં સંઘના 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમણે શતાબ્દી વર્ષની યોજના વિશે જણાવ્યું કે, "અમારા કાર્યકર્તાઓએ વિચાર કર્યો કે સંપૂર્ણ સમાજમાં આ પ્રકારની સદભાવના જેના આધારે નૈતિકતાનું નિર્માણ થાય એવો કોઈ કાર્યક્રમ લઈને સમાજ પાસે જવું જોઈએ. એટલા માટે શતાબ્દી વર્ષમાં કોઈ મોટા કાર્યક્રમ નથી કરવાના કેમકે દેશ માટે કામ કરીએ છીએ એને 100 વર્ષ પૂર્ણ થયા, તો એ અમારું કર્તવ્ય હતું તેના માટે કોઈ ઉજવણી કરવાની આવશ્યકતા નથી."
તેમણે કહ્યું કે અમે પંચ પરીવર્તન એવા કાર્યક્રમનો વિચાર કર્યો છે જેમાં પાંચ પ્રકારના કાર્યક્રમ છે:
1. કુટુંબ પ્રબોધન,
2. સામાજિક સમરસતા,
3. પર્યાવરણ સંરક્ષણ,
4. નાગરિક કર્તવ્ય,
5. સ્વ.ના આધારે જીવન (સ્વદેશી); તેમણે કહ્યું કે સ્વયંસેવકો પોતાના વ્યવહારમાં આ બધી જ વાતોનું પાલન પ્રારંભ કરી દીધું છે. શતાબ્દી વર્ષમાં સ્વયંસેવકો સમાજ પાસે જઈને આ બધી જ વાતો બતાવશે અને સમાજને સાથે રાખીને ઉપરોક્ત દિશામાં ચાલવા વાળા લોકોની સંખ્યા વધે તેવા પ્રયત્ન કરશે.
