IPL 2025: RCBના કેપ્ટન રજત પાટીદારનું 'પરિણામ'ને બદલે 'પ્રોસેસ' પર ધ્યાન
Live TV
-
આજે IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL-2025ની ફાઇનલમાં પહોંચ્યું છે. ટાઇટલ મેચ પહેલા પાટીદારે કહ્યું કે, તે 'પરિણામ' કરતાં 'પ્રોસેસ' પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. RCB 9 વર્ષના લાંબા અંતરાલ પછી IPL ફાઇનલમાં પહોંચ્યું છે. જેમાં RCBની નજર પહેલી ટ્રોફી પર છે. RCB ચોથી વખત IPL ફાઇનલ રમશે. અગાઉ ટીમ 2009માં ડેક્કન ચાર્જર્સ 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટાઇટલ મેચ હારી ચૂકી છે.
પાટીદારે કહ્યું કે, 'કેપ્ટન તરીકે આ મારી પહેલી સિઝન છે. હું ભાગ્યશાળી છું કે, મારી પાસે અમારા કોચ અને સિનિયર ખેલાડીઓ છે. તેમના વિચારો મને આ નવી નેતૃત્વ ભૂમિકામાં ખૂબ મદદ કરી રહ્યા છે. દરેક ખુશ છે અને દરેક તૈયાર છે. આ એક મોટો તબક્કો છે, પરંતુ અમે તેને બીજી મેચની જેમ લઈ રહ્યા છીએ. અમે પરિણામ કરતાં અમારી પ્રોસેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તે એક મોટી તક છે.'
પાટીદારની આગેવાની હેઠળની RCB ટીમે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંને ટીમો લીગ સ્ટેજમાં પ્રથમ અને બીજા સ્થાને રહી હતી. આ દરમિયાન બંને ટીમોએ 14 માંથી 9 મેચ જીતી હતી, જ્યારે ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ફાઈનલ મેચ પહેલા RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે કહ્યું, 'આ સિઝનમાં ખેલાડીઓએ જે રીતે પોતાને સંભાળ્યા તેના પર મને ખૂબ ગર્વ છે. આ એક શાનદાર સિઝન રહી છે. અમે ફાઇનલમાં પહોંચવા માટે શાનદાર ક્રિકેટ રમી છે. અન્ય મેચો પહેલા પણ અમારી વચ્ચે આવી જ વાતચીત થઈ છે, પરંતુ તે જ સમયે અમે એ પણ સ્વીકાર્યું કે આ ફાઇનલ છે. અમે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે, તેથી આપણે તેનો આનંદ માણવો જોઈએ. સ્ટેડિયમમાં એક લાખ દર્શકો હશે અને એક શાનદાર વાતાવરણ હશે.'
RCBના ક્રિકેટ ડિરેક્ટર મો બોબટે કહ્યું, 'અમારી સિઝન શાનદાર રહી છે. અમને લાગે છે કે અમે અહીં રહેવાને લાયક છીએ. અમે આખી સિઝન દરમિયાન આ રીતે રમ્યા છીએ.' ઉલ્લેખનીય છે કે પંજાબ કિંગ્સ આ પહેલા ફક્ત એક જ વાર IPL ફાઇનલમાં પહોંચી છે. IPL-2022 થી ચાહકોને એક નવો ચેમ્પિયન મળવાનો છે.
