કંડલા મુક્ત વ્યાપાર બંદરમાં ચાલુ વર્ષે નિકાસમાં 12.5 ટકાનો વૃદ્ધિદર
Live TV
-
કંડલા બંદરને વ્યાપાર ક્ષેત્રની સ્થાપનાને 53 વર્ષ પૂર્ણ, ફેબ્રુઆરીના અંત સુધીમાં, આ ઝોનના એકમોએ, કુલ રૂપિયા 4 હજાર 400 કરોડથી વધુની નિકાસ કરી હતી
એશિયાના સર્વપ્રથમ એવા કંડલા મુક્ત-વ્યાપાર ક્ષેત્રની સ્થાપનાને 53 વર્ષ પૂરા થયા. આ ક્ષેત્રે ચાલુ વર્ષે નિકાસમાં 12.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં, આ ઝોનના એકમોએ, કુલ રૂપિયા 4 હજાર 400 કરોડથી વધુની નિકાસ કરી હતી. ભારતમાં પ્રથમ વખત વિદેશી હુંડિયામણની કમાણીના હેતુથી 1966 - 67માં ઉભા કરાયેલા આ આર્થિક ક્ષેત્રમાં મુક્ત-વ્યાપારની નવી નીતિના કારણે, છેલ્લા કેટલાક સમયમાં અનેક વેરહાઉસ સ્થપાયા છે, જેના સકારાત્મક પરિણામો, રોજગારીમાં વધારારૂપે જોવા મળ્યા છે. આ ઝોનમાં અત્યારે 25 હજાર કામદારો કામ કરે છે, જેમાં 36 ટકા જેટલી મહિલા છે. ઉજવણીના પૂર્ણાહુતિના પ્રસંગે ઝોનની કંપનીઓને નિકાસ એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે કંડલા અને મુંદ્રાના કસ્ટમ કમિશનર સંજય અગ્રવાલ, જીએસટી કમિશ્નર પ્રમોદ વસાવા અને ઝોનના વિકાસ કમિશનર ઉપેન્દ્ર વરિષ્ઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.