અમદાવાદ: વસ્ત્રાપુરમાં યોજાયો ‘પીએમ સ્વનિધિ લોન મેળો’
Live TV
-
અમદાવાદ: વસ્ત્રાપુરમાં યોજાયો ‘પીએમ સ્વનિધિ લોન મેળો’
નાના વેપારીઓ અને શહેરી ફેરિયાઓને આર્થિક રીતે સદ્ધર અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના વસ્ત્રાપુર સ્થિત કલ્યાણ કોમ્યુનિટી હોલ ખાતે 'પીએમ સ્વનિધિ લોન મેળો' આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના મેયર હિતેશ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
100થી વધુ શહેરી ફેરિયાઓને મળી આર્થિક સહાય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ) વિભાગ દ્વારા આ લોન મેળાનું સફળ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન 100થી વધુ શહેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને લોનના મંજૂરી પત્રો (સેન્કશન લેટર) તેમજ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર હિતેશ બારોટ અને ઉપસ્થિત પદાધિકારીઓએ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પીએમ સ્વનિધિ યોજના: ₹10 હજારથી ₹50 હજાર સુધીની લોન
આ મેળામાં ઉપસ્થિત અધિકારીઓએ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ હવે નાના વેપારીઓને પોતાનો વ્યવસાય વિસ્તારવા માટે રૂપિયા 10,000 થી લઈને રૂપિયા 50,000 સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના નાના ધંધાર્થીઓને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવી આત્મનિર્ભર બનાવવાનો છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને સરકારી યોજનાઓનું માર્ગદર્શન
લોન વિતરણની સાથે-સાથે આ મેળામાં એક વિશેષ કાઉન્સેલિંગ સેશન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં તમામ લાભાર્થીઓને વ્યવસાયમાં ડિજિટલ પેમેન્ટ (UPI/QR કોડ) નો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
