આજથી પ્રધાનમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
Live TV
-
2 દિવસના પ્રવાસમાં 6 ચૂંટણી સભાઓ ગજવશે
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજથી પ્રધાનમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે.આજે 1લી મે એટલે ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર તેમના પોતાના ગૃહ રાજ્યમાં પ્રચાર કરશે.
તેમના બે દિવસના ગુજરાત પ્રવાસમાં તેઓ 6 ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. બે દિવસમાં નરેન્દ્ર મોદી 14 લોકસભા બેઠકોને આવરી લેશે. સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોમાંથી ત્રણ બેઠકોને પણ આવરી લેવામાં આવશે.
પ્રથમ સભા આજે બનાસકાંઠામાં બપોરે 3.30 કલાકની આસપાસ થશે. આ સભામાં બનાસકાંઠાની સાથે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર પણ હાજર રહેશે. તો બીજી સભા સાંજે 5.15 કલાકની આસપાસ સાબરકાંઠામાં થશે. આ સભામાં સાબરકાંઠા, મહેસાણા લોકસભા બેઠક અને બીજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવારો હાજર રહેશે.
બે દિવસમાં 6 જનસભાઓ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ઈસ્ટ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠકોને આવરી લેશે.