કોર્ટે રાહુલ ગાંધીના જામીન કર્યાં મંજૂર, અમિત ચાવડા બન્યા જામીનદાર
Live TV
-
આજે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્ટમાં ભરતસિંહ સોલંકી, અહમદ પટેલથી લઈને અનેક કોંગ્રેસ નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની બહાર રાહુલ ગાંધીના સમર્થકો પણ હાજર રહ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર તેમના જામીન મંજૂર રાખ્યા છે. 7 સપ્ટેમ્બર તારીખની મુદત આ કેસમાં આપવામાં આવી છે. રૂપિયા 15 હજારના બોન્ડ પર તેમના જામીન મંજૂર કરાયા છે. અમિત ચાવડા તેમના જામીનદાર બન્યા હતા.
જામીન મંજૂર થયા પહેલાઃ
લોકસભામાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે. અમદાવાદની એક બેંક અને તેના ચેરમેને કરેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે.
અમદાવાદની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને તેમના દ્વારા નોટબંધી દરમિયાન આપવામાં આવેલા એક નિવેદનને લઈને નોંધાયેલા માનહાનિ કેસમાં કોર્ટ સમક્ષ 12 જુલાઈના રોજ રજૂ થવા આદેશ આપ્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અજય પટેલે માનહાનિની ફરિયાદ કરી હતી. આપને જણાવી દઈએ કે નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલાએ એડીસી બેંક પર 745 કરોડ રુપિયાની બ્લેક મનીને વ્હાઈટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ગત વર્ષે અરજીકર્તાઓએ માનહાનિનો કેસ કર્યો હતો.
માનહાનિના કેસના મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને 27 મેના રોજ રજૂ થવાના આદેશ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી જેને કોર્ટે સ્વીકારતાં રાહુલ અને સૂરજેવાલાને 12 જુલાઈના રોજ કોર્ટ સામે રજૂ થવા માટે આદેશ આપ્યાં હતા.