નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસ કાર્યો અંગે કરી બેઠક
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસ કાર્યો અંગે કરી બેઠક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની શાન ગણાતા સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 ના વિસ્તરણ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ચાલી રહેલા તમામ વિકાસ કાર્યોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રોજેક્ટ્સને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે જરૂરી ચર્ચાવિચારણા કરાઈ હતી.
સાંસ્કૃતિક વારસા અને આધુનિકતાનો સમન્વય
બેઠક દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને ખાસ સૂચના આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ અકબંધ રહેવી જોઈએ. સાબરમતી આશ્રમની પવિત્રતા અને મહાત્મા ગાંધીના વિચારોના વારસાને જાળવી રાખીને જ વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવે. શહેરની જાહેર જગ્યાઓને વધુ આધુનિક, ગ્રીન અને નાગરિકો માટે સુવિધાયુક્ત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભવિષ્યના વિકાસલક્ષી દ્રષ્ટિકોણ પર ચર્ચા
આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ઉમેર્યું કે, સરકાર ભવિષ્યના મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઐતિહાસિક વારસા વચ્ચે સકારાત્મક સંતુલન સાધીને આગળ વધી રહી છે, જેથી અમદાવાદ ગ્લોબલ મેપ પર વધુ મજબૂત રીતે ઉભરી શકે.
