અભ્યાસ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને બ્રિટનમાં રહેવા મળતો બે વર્ષનો સમય ઘટીને 6 મહિના થશે
Live TV
-
બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી વગર બ્રિટનમાં બે વર્ષ સુધી રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે. જો કે બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેન દેશના શિક્ષણ વિભાગ સાથે મળીને અભ્યાસ પછી મળતી રહેવાની આ સુવિધાના સમયગાળામાં ઘટાડો કરવાનું વિચારી રહ્યાં છે તેમ બ્રિટનના મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નવા ગ્રેજયુએટ વિઝા રૃટ હેઠળ હાલમાં ભારતીયો સહિત વિદેશી ગ્રેજયુએટને નોકરી શોધવા માટે અને અનુભવ મેળવવા માટે જોબ ઓફર વગર બે વર્ષ રહેવાની પરવાનગી આપવામાં આવે છે. જો કે બ્રેવરમેન આ સમયગાળામાં ઘટાડો કરવાનું વિચારી રહ્યાં છે.
ભારતીય મૂળના ગૃહ પ્રધાન ગ્રેજયુએટ વિઝા રૃટને નવું સ્વરૃપ આપવાનું વિચારી રહ્યાં છે. નવા સ્વરૃપ મુજબ વિદ્યાર્થીઓને સ્કીલ્ડ જોબ મેળવીને વર્ક વિઝા મેળવવો પડશે અથવા છ મહિનાની અંદર બ્રિટન છોડી દેવું પડશે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટનનું શિક્ષણ વિભાગ આ નવા પ્રસ્તાવના વિરોધમાં છે કારણકે આનાથી વિદેશી વિદ્યાર્થીઓમાં બ્રિટનમાં ભણવા આવવા માટેનું આકર્ષણ ઘટી જશે. બ્રેવરમેનના પ્રસ્તાવને સમર્થન કરનારા સરકારી સૂત્રોેના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ ગ્રેજયુએટ વિઝાનો ઉપયોગ ઓછી જાણીતી યુનિવર્સિટીના શોર્ટ ટર્મ કોર્સમાં એડમિશન લઇને કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એક અહેવાલ મુજબ બ્રિટનમાં હાલમાં ૬,૮૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓ છે. જેમાં સૌથી વધુ ભારતના વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ બીજા ક્રમે ચીનના વિદ્યાર્થીઓ છે.
