પાકિસ્તાનઃ દિયામેર જિલ્લામાં બસ પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 20 લોકોનાં મોત
Live TV
-
ઈસ્લામાબાદ: શુક્રવારે દિયામેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર ગુનાર ફાર્મ નજીક થયેલા એક ભીષણ બસ અકસ્માતમાં 20 લોકોનાં મોત થયાં છે.
ઈસ્લામાબાદ: શુક્રવારે દિયામેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર ગુનાર ફાર્મ નજીક થયેલા એક ભીષણ બસ અકસ્માતમાં 20 લોકોનાં મોત થયાં છે. પેસેન્જર બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં સિંધુ નદીના કિનારે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 3 મહિલાઓ સહિત કુલ 20 લોકોના મોત થયા છે. આ અકસ્માત આજે સવારે 5.30 વાગ્યે ગિલગિટ બાલ્ટિસ્તાનના દિયામેર જિલ્લામાં થયો હતો. વડાપ્રધાન શાહબાઝ શરીફે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે ઘાયલોને તમામ શક્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવે.
સ્થાનિક અખબાર ડૉનના અહેવાલ અનુસાર, આ બસ રાવલપિંડીથી ગિલગિટ જઈ રહી હતી. ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર ગુનાર ફાર્મ નજીક ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ગઈ અને સીધી સિંધુ નદીના કિનારે પડી હતી. આ અકસ્માતમાં અન્ય 21 મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી મોટાભાગનાની હાલત નાજુક છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને ચિલાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
જિયો ન્યૂઝ અનુસાર, દિયામેરના ડેપ્યુટી કમિશનર ફૈયાઝ અહેમદે જણાવ્યું છે કે ઓછામાં ઓછા પાંચ ઘાયલ મુસાફરોની હાલત અત્યંત નાજુક છે. જેમાંથી બેને ગિલગિટ શહેરમાં ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઓપરેશનમાં સેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત ચિલાસ શહેરથી 20 કિલોમીટર દૂર થયો હતો.