આજથી નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થશે
Live TV
-
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઇને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે.આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગ્રૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ પાર્ટીના ટોચના નેતાઓ સામેલ થશે. આ બેઠક એન.ડી.એમ.સી. સંમેલન કેન્દ્ર ખાતે યોજાશે, જ્યાં સુશાસન, પ્રથમ સમાવેશી અને સશક્ત ભારત સાથે વિશ્વગુરૂ ભારત સહિત 6 વિવિધ વિષય પર પ્રદર્શન પણ યોજાશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઇને ભાજપની કાર્યકારિણીની બેઠક મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં આગામી રાજ્યોમાં યોજાનાર ચૂંટણી માટે રણનીતી સહિત તાજેતરમાં પૂર્ણ થયેલ હિમાચલ અને ગુજરાતના પરિણામની સમિક્ષા કરવામાં આવશે. આ સાથે દેશની સામે વર્તમાન સમસ્યાના મુદ્દે કાર્યકારિણીની બેઠકમાં વિચાર વિમર્શ થશે. સાથે-સાથે આર્થિક, રાજકિય તેમજ સામાજિક વિષય પર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવશે. આ બેઠકમાં સૌ પ્રથમ ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય પદાધિકારીઓની બેઠક યોજાશે.. જેમાં એકઝીક્યુટીવ બેઠક માટે એજન્ડાને અંતિમરૂપ આપવામાં આવશે. આ બેઠકના પ્રથમ દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે પટેલ માર્ગથી સંસદમાર્ગ સુધી રોડ શો કરશે.તેમજ આવતીકાલે બેઠકના સમાપન સત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે.
