પ્રધાનમંત્રીના માતા હીરાબાનું સૌ વર્ષની જૈફ વયે યુ.એન.મહેતા હોસ્પિટલમાં નિધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજરોજ વહેલી સવારે 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા..હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.તેમણે કહ્યુ કે હું જ્યારે તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહે છે..કે કામ કરો બુદ્ધિથી , જીવન જીવો શુદ્ધિથી..હિરાબાના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના રાજકીય આગેવાનો પણ પ્રધાનમંત્રી મોદી સાથે ઉપસ્થિત છે.
દેશભરમાંથી રાજકીય મહાનુભાવોએ દુઃખની લાગણી વ્યક્ત કરી કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દુઃખદ નિધન થયુ છે. દેશભરમાંથી રાજકીય મહાનુભાવોએ દુઃખની લાગણી વ્યક્ત કરી કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા લખ્યુ છે કે માં દરેક વ્યક્તિના જીવનમાં પ્રથમ મિત્ર અને ગુરુ હોય છે. જેને ગુમાવ્યાનું દુઃખ નિઃસંદેહ સંસારનું સૌથુ મોટુ દુઃખ છે. હીરાબાએ જે સંઘર્ષોનો સામનો કરતા પરિવારનું પાલન-પોષણ કર્યુ હતુ તે તમામ માટે એક આદર્શ છે. તેમનું ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદાય આપણી સ્મૃતિમાં રહેશે. સમગ્ર દેશ આ દુઃખના સમયમાં પ્રધાનમંત્રી મોદી અને તેમના પરિવાર સાથે છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખની લાગણી વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દુખ વ્યક્ત કરતા લખ્યુ છે કે હીરાબાને નમન..હિરાબાના સંકલ્પ અને કર્તવ્યનિષ્ઠા અમારા સૌકોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુખ વ્ચક્ત કરતા લખ્યુ છે કે ભક્તિ , તપસ્યા અને કર્મના ત્રિવેણી તેમજ નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વને ઘડનાર પૂજ્ય હિરાબાનું નિધન અત્યંત દુઃખદ. હિરાબા સૌ માટે સદાય પ્રેરણામૂર્તિ બની રહેશે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ પણ ટ્વીટ કરતા દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યુ છે કે એક પ્રેમાળ માતા કે જેમણે રાષ્ટ્રને કિંમતી હિરો આપ્યો છે. એવા હીરાબાના નિધનથી ઉંડી સંવેદના વ્યક્ત કરુ છું..ઇશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે..તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે હીરાબા અત્યંત સંઘર્ષપૂર્ણ જીવન જીવતા પોતાના પરિવારમાં જે સંસ્કારોનું સિંચન કર્યુ હતુ તેનાથી નરેન્દ્ર મોદી જેવુ નેતૃત્વ દેશને મળ્યુ છે..તેમની અત્યંત સરળ અને મમતામયી છબી હમેશા સ્મૃતિપટલ પર જીવંત રહેશે..પ્રધાનમંત્રી ઘણીવાર પોતાના માતા હીરાબા અંગે પોતાના આત્મીયભાવને વ્યક્ત કરતા રહ્યા છે. બ્લોગ મારફતે હોય કે મન કી બાત હોય કે પછી સોશિયલ પ્લેટફોર્મ પર હોય. એકવાર પ્રધાનમંત્રીએ ફેસબુકના સીઈઓ સાથેના એક સંવાદમાં માતાના સંઘર્ષ વિશે મુક્તમને વાત કરી હતી..
