પ્રવાસી ભારતીય સંમેલનનો આજે અંતિમ દિવસ, પ્રવાસી ભારતીય સન્માન પુરષ્કાર એનાયત કરાશે
Live TV
-
ઇન્દોરમાં ચાલી રહેલા 17માં પ્રવાસી ભારતીય સંમેલનનો આજે અંતિમ દિવસ છે. આજે સમાપન સત્રની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ કરશે. રાષ્ટ્રપતિ આજે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે. આ ઉપરાંત પ્રવાસી ભારતીય સંમેલનથી અલગ ગયાના રાષ્ટ્રપતિ ડો મોહમદ ઇરફાન અલી અને સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાત કરશે. આ વર્ષે પ્રવાસી ભારતીય સંમેલનનો મુખ્ય વિષય ભારત વંશી અમૃતકાળમાં ભારતની પ્રગતિના વિશ્વસનીય ભાગીદાર છે.
સુરીનામ અને ગયાનાના રાષ્ટ્રધ્યક્ષોએ ભારતના દબદબાના કર્યા વખાણ
ઇન્દોરમાં પ્રવાસી ભારતી દિવસ સમારોહમાં અતિથી રૂપે પહોચેલ સુરિનામ અને ગયાના નેતાઓએ વિશ્વ મંચ પર ભારતની પ્રશંસા કરી હતી. સૂરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને દુનિયાને દિશા આપનાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારત દરેક ક્ષેત્રમાં નવા જોશ, નવી ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને જી-20ની ભારતની અધ્યક્ષતા વિશ્વ માટે એક મજબુત સંદેશ છે.ગયાના રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કોરોના કાળ વીશે વાત કરી હતી. તેમણે ભારતે કોરોનાની રસી મોકલીને કરેલી મદદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત પ્રગતિશીલ દેશોની મદદ માટે હંમેશા ઉભું રહ્યું છે. કોરોનાકાળમાં ભારતે એક નેતૃત્વ કર્યું છે. અગાઉ વિશ્વ મંચ પર વિવિધ દેશોના નેતાઓએ પ્રધાનમંત્રીને બિરદાવ્યાં છે. દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય સંમેલનથી અલગ સુરિનામના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. તેઓએ હાઇડ્રો કાર્બન, સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, ડીજીટલ પહેલ સહિત વિવિધ મુદે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્દોરમાં ગયાનાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં આરોગ્ય, ઉદ્યોગ, પાયાના માળખા તેમજ અન્ય મુખ્ય ક્ષેત્રોમાં ચર્ચા કરી હતી.
