વિરોધ પક્ષના હંગામાના કારણે સંસદનાં બન્ને ગૃહોની બેઠક સમગ્ર દિવસ માટે મોકૂફ રહી
Live TV
-
સંસદનાં બન્ને ગૃહોની બેઠક આજ પણ સમગ્ર દિવસ માટે મોકૂફ રહી છે. લોકસભા અને રાજ્યસભામાં અદાણી ઉદ્યોગ જૂથ અંગે હિંડનબર્ગ અહેવાલ અને અન્ય મુદ્દાઓ અંગે વિરોધપક્ષોના દેખાવોના કારણે આજે સતત બીજા દિવસે પણ ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. સવારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, જેડી (યુ), સમાજવાદી પાર્ટી અને અન્યના પક્ષના સભ્યો આ મુદ્દા પર ગૃહની મધ્યમાં પહોંચી ગયા હતા, જયારે બીએસપી, ટીઆરએસ અને સીપીઆઈના સભ્યો ઉભા થઈને વિરોધ કરી રહ્યા હતા. હંગામા વચ્ચે, અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ કરી રહેલા સભ્યોને પ્રશ્નકાળ ચાલવા દેવા જણાવ્યું. તેમણે કહ્યું કે વિવિધ મંત્રાલયોના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો સૂચિબદ્ધ છે. કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ નૈતિક રીતે યોગ્ય નથી. તેમણે કહ્યું કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થાય ત્યારે ચર્ચા કરી શકાશે. તેમણે કહ્યું કે જે સભ્યો આ મુદ્દાઓ ઉઠાવવા માગે છે તે અગાઉથી રજૂઆત કરી શકે. જો કે હોબાળો ચાલુ રહેતાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
બપોરે ફરીથી બેઠક મળી ત્યારે દૃશ્ય અલગ નહોતું. વિપક્ષી સભ્યોએ આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સભ્યોને ગૃહનું નિર્ધારિત કામકાજ ચાલવા દેવા જણાવ્યા છતાં સભ્યોએ ધ્યાન આપ્યું ન હતું, પરિણામે ગૃહને સમગ્ર દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં, પણ ગૃહ મળ્યું ત્યારે સભાપતિએ સભામોકૂફ રાખવાની નોટિસને નામંજૂર કરી. કોંગ્રેસ, ડીએમકે, આપ અને અન્ય પક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરતાં ગૃહની કાર્યવાહી બપોરે અઢી વાગ્યા સુધી મોકૂફ રાખી. બપોરે જયારે ફરી બેઠક મળી ત્યારે પણ સૂત્રોચ્ચાર ચાલુ રહેતાં સભાપતિ જગદીપ ધનખડે વિરોધ કરી રહેલા સભ્યોને પગલાં લેવાની ચેતવણી આપી હતી તેમ છતાં વિરોધ ચાલુ રહેતાં ગૃહને સમગ્ર દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
