રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મુ આજે 27 દેશોના મૂળ ભારતીયોને પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મૂર્મુ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં 17મા પ્રવાસી ભાતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં 27 દેશોના મૂળ ભારતીયોન પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કરશે. આ સન્માન પ્રવાસી ભારતીય દિવસ સંમેલન અંતર્ગત પ્રવાસી ભારતીયો સંસ્થાઓને આપવામાં આવે છે, જેમણે ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું. સંમેલનથી અલગ સૂરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને ગુયાના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો ગઈકાલથી વિધિવત આરંભ કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મૂળ ભારતીયોને અનન્ય વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વૈશ્વિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે આહ્વાન કર્યું. શ્રી મોદીએ તેમને મેક ઇન ઇન્ડિયા, યોગ અને આયુર્વેદ, કુટીર ઉદ્યોગો, હસ્તકલા અને સ્વદેશી જાડાં ધાનના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ આશા અને વિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે, તેથી મૂળ ભારતીય દેશના દૂત તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વિવિધ ક્ષેત્રોમાં ભારતના વિકાસ વિશે વાત કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં જ્ઞાન અને કૌશલ્યનાં કેન્દ્રો માટે સક્ષમ છે.
ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમ ધરાવે છે. તેજસ અને અરિહંત જેવી અતિ આધુનિક ટેક્નોલોજીના જનક છીએ. પ્રધાનમંત્રીએ મૂળ ભારતીયોને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વરસની સાથે દેશની પ્રગતિથી વાકેફ રહેવા જણાવ્યું. પ્રધાનમંત્રીએ વિવિધ દેશોમાં વસતા ભારતીયોના જીવન, સંઘર્ષ અને સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ કરવા સલાહ આપી હતી. આ પ્રસંગે સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ જણાવ્યું કે અમૃત કાળના આગામી 25 વર્ષના વિકાસના માળખામાં મૂળ ભારતીયોનો પણ સમાવેશ થવો જોઈએ. ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાનઅલીએ પ્રધાનમંત્રીના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે ભારત પાસેથી માનવતાથી માંડીને માનવ બળ વ્યવસ્થાપન સુધી ઘણું શીખી રહ્યા છીએ. કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સંબોધન કર્યું હતું. ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમના મંત્રથી જોડી રહ્યા છે અને દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. વિશ્વના લગભગ 70 દેશોમાંથી મૂળ ભારતીયો આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આજે આ પરિષદનું સમાપન થશે.
