રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પેરાલિમ્પિક થીમ સોંગનો શુભારંભ કર્યો
Live TV
-
યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હીમાં ભારતીય પેરાલિમ્પિક દળ માટે થીમ સોંગ (કેન્દ્રવર્તી ગીત) “કર દે કમાલ તું” નો શુભારંભ કર્યો હતો. આ અવસરે સચિવ (રમતગમત) શ્રી રવિ મિત્તલ; સંયુક્ત સચિવ (રમતગમત) એલ એસ સિંહ; ભારતીય પેરાલિમ્પિક સમિતિનાં પ્રમુખ ડૉ. દીપા મલિક; સેક્રેટરી જનરલ શ્રી ગુરશરણ સિંહ અને ચીફ પેટ્રન શ્રી અવિનાશ રાય ખન્ના પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
આ ગીત “કર દે કમાલ તું” લખનઉના રહેવાસી એવા એક દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સંજીવ સિંહ દ્વારા રચવામાં અને ગાવામાં આવ્યું છે. અભિવ્યાપકત્વની નિશાની તરીકે ભારતની પેરાલિમ્પિક સમિતિનો વિચાર એવો હતો કે આ ગીતને દિવ્યાંગ સમુદાયમાંથી રચવામાં આવે. આ ગીતના શબ્દો માત્ર એથ્લીટ્સને પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં પણ કોઇ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા તમામ લોકોને પોતાની જાતને કદી ઓછી ન આંકવા અને અજાયબીઓ સર્જવા માટે એમની અંદર શું રહેલું છે એ માટે પ્રોત્સાહિત પણ કરે છે.આ પ્રસંગે અનુરાગ ઠાકુરે કહ્યું, “ટોક્યોમાં ભારત એનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલી રહ્યું છે- જુદી 9 રમતોમાં 54 પેરા-સ્પોર્ટ્સપર્સન્સ. ભારત તમારી દરેક હિલચાલને નિહાળશે, રમતોત્સવમાં આપની અવિશ્વસનીય સફરને અમે અનુસરીશું. આપણા પેરા-ઍથ્લીટ્સનો સંપૂર્ણ દ્રઢનિશ્ચય એમની વિલક્ષણ માનવ મિજાજને દર્શાવે છે. યાદ રહે કે તમે જ્યારે ભારત માટે રમો છો ત્યારે 130 કરોડ ભારતીયો તમારા માટે ચિઅરિંગ કરી રહ્યા હશે! મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે આપણા પેરા-ઍથ્લીટ્સ એમનું સારામાં સારું શ્રેષ્ઠ આપશે! પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આપણા રિયો 2016 પેરાલિમ્પિક્સ ગેમ્સના ઍથ્લીટ્સને મળ્યા હતા અને આપણા ઍથ્લીટ્સના કલ્યાણ માટે તેમણે હંમેશા ઉત્કટ રસ ધરાવ્યો છે અને સમગ્ર દેશમાં રમતગમત માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે પ્રતિભાઓ તૈયાર કરવા સરકારના અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આપણા ઍથ્લીટ્સ સુસજ્જ રહે અને એમને શ્રેષ્ઠ સુવિધાઓ મળે એ સુનિશ્ચિત કરવા માટે હું પેરાલિમ્પિક કમિટિ ઑફ ઈન્ડિયા અને તેનાં પ્રમુખ સુશ્રી દીપા મલિકને અભિનંદન આપવા માગું છું.”
આ ગીતના રચયિતા અને ગાયક સંજીવ સિંહે અનુભવ્યું કે આ એમના માટે જ નહીં પણ સમગ્ર સમુદાય માટે ગર્વની ક્ષણ છે. સંજીવ સિંહે કહ્યું હતું કે રિયો 2016 પેરા ગૅમ્સમાં ખેલાડી તરીકે આ ખરેખર તો ડૉ. દીપાની સિદ્ધિ હતી જેણે મને એમના વિશે એક કવિતા લખવા માટે પ્રેરિત કર્યો અને પછી એ કવિતાએ આ થીમ સોંગનો આકાર લીધો. “હું માત્ર ઇચ્છું છું કે આ ગીત પેરા-ઍથ્લીટ્સને સારું કરવા માટે પ્રેરિત કરે. તેઓ એમનાં જીવનમાં પહેલેથી જ વિજેતા છે પણ એક ચંદ્રકથી સમગ્ર દેશ એમની નોંધ લેશે અને દેશને ગર્વ અપાવશે” એમ સંજીવ કહે છે.
પીસીઆઈનાં પ્રમુખ દીપા મલિક કહે છે, “પેરાલિમ્પિક કમિટિ ઑફ ઈન્ડિયાનાં પ્રમુખ તરીકે અને રાષ્ટ્રીય સમિતિનાં સભ્ય તરીકે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવવા માટે હું આને India@75ને સમાવિષ્ટ ભારત તરીકે કલ્પવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પાંખો આપવાના મારા પ્રયાસ તરીકે લઉં છું. ભારતમાં પેરાલિમ્પિક ચળવળે બહુ ટૂંકા ગાળામાં ઘણો મોટો આકાર લઈ લીધો છે અને પેરા સ્પોર્ટ્સ એ કરવા માટેના શ્રેષ્ઠ માર્ગોમાંનું એક છે. પેરા સ્પોર્ટ્સને ભારતના મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. આ થીમ સોંગ ભારતના પેરાલિમ્પિક દળનો જુસ્સો વધારવા માટે રચવામાં આવ્યું છે. અમે તમામ ભારતીયોને રમતોને અનુસરીને અને આ થીમ ગીતને સાંભળી અને શૅર કરીને એમનો ટેકો દર્શાવવા માટે વિનંતી કરીએ છીએ.”
આભાર વિધિ કરતા પીસીઆઇના સેક્રેટરી જનરલ શ્રી ગુરશરણ સિંહ કહ્યું, “આ ગીત ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે અને એમને એવી પ્રતીતિ કરાવે છે કે સમગ્ર દેશ એમની સાથે છે. પેરાલિમ્પિક્સમાં જ્યારે ત્રિરંગો ઊંચે લહેરાશે ત્યારે સમગ્ર દેશ ગર્વ અનુભવશે. આ ગીત સાંભળ્યા બાદ ખેલાડીઓ પ્રેરિત અને પ્રોત્સાહિત થાય એવું અમે ઇચ્છીએ છીએ.”
આ વખતે 54 પેરા ઍથ્લીટ્સ રેકોર્ડ સંખ્યામાં 9 જુદી રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આમાંના ઘણા ઍથ્લીટ્સ વિશ્વ વિક્રમ દેખાવ સાથે ક્વૉલિફાય થયા છે જેનાથી મેડલની અપેક્ષાઓ વધે છે.
