ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2 દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી
Live TV
-
વર્ષ ૧૯૨૫માં સ્થપાયેલ સ્નાતક સંઘને ૬ ડિસેમ્બરના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે. જેના ઉપલક્ષ્યમાં ગત વર્ષ ૬ ડિસેમ્બર,૨૦૨૪થી અત્યાર સુધી ૧૫ સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે. બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૨૫માં સ્થપાયેલ સ્નાતક સંઘને ૬ ડિસેમ્બરના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે. જેના ઉપલક્ષ્યમાં ગત વર્ષ ૬ ડિસેમ્બર,૨૦૨૪થી અત્યાર સુધી ૧૫ સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે. બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. મહોત્સવમાં ૮ સત્રોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય સ્નાતક સંમેલન અંતર્ગત વિવિધ વિદ્યાશાખાના સ્નાતકોને સન્માનિત કરવામાં આવનાર છે. વિવિધ સત્રોમાં સ્નાતકો અને પૂર્વ વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળશે.
સ્નાતક સંમેલન અંતર્ગત યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ટ્રસ્ટીઓ, ગુજરાત વિદ્યાપીઠ મંડળના સભ્યો, ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ગણ, કર્મચારીગણ, સામાજિક અગ્રણીઓ, પૂર્વ સેવકો, શુભેચ્છકો, સ્નાતકો અને પૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
