રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદથી મુંબઈ સુધી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં કરી મુસાફરી
Live TV
-
સામાન્ય રીતે રાજ્યપાલ માટે વિશેષ વિમાન દ્વારા હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રેલ યાત્રાનો વિકલ્પ પસંદ કરી એક સામાન્ય મુસાફરની જેમ અમદાવાદથી મુંબઈ સુધી મુસાફરી કરી. જેનાથી ટ્રેનના અન્ય મુસાફરોને પણ આશ્ચર્યની સાથે આનંદની અનુભૂતિ થઈ હતી તેમજ રાજ્યપાલના આવા સરળ વ્યક્તિત્વથી ઉપસ્થિત રેલયાત્રીઓ પ્રભાવિત થયા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી. આ મુસાફરીમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ જોડાયા હતા. રાજ્યપાલે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓની ટિકિટ બુક કરાવવામાં આવી હતી.
ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલ ગાંધીનગર રાજભવનથી અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. સવારના સમયે અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુજરાતના રાજ્યપાલ આવ્યા હોવાની જાણ થતા મુસાફરો પણ આશ્ચર્યચકિત થયા હતા. તો બીજી તરફ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પણ રાજ્યપાલ અને લેડી ગવર્નરનું સ્વાગત કરી મુસાફરી માટે આવકાર્યા હતા. અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં રાજ્યપાલે પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં પણ કૂતુહલ સર્જાયુ હતું. રાજ્યપાલે વિનમ્ર ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યુ હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
અમદાવાદથી મુંબઈ સુધીની મુસાફરી દરમ્યાન મુસાફરો સાથે રાજ્યપાલે ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક કૃષિ, સુવિધા યુક્ત રેલવે સફર, વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયો પર સામાન્ય ચર્ચાઓ કરી હતી. મુસાફરોએ પણ પોતાની આ સફરને યાદગાર બનાવવા મોબાઈલમાં રાજ્યપાલ સાથે ફોટા પડાવ્યા હતા.
સામાન્ય રીતે રાજ્યપાલ માટે વિશેષ વિમાન દ્વારા હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રેલ યાત્રાનો વિકલ્પ પસંદ કરી એક સામાન્ય મુસાફરની જેમ અમદાવાદથી મુંબઈ સુધી મુસાફરી કરી. જેનાથી ટ્રેનના અન્ય મુસાફરોને પણ આશ્ચર્યની સાથે આનંદની અનુભૂતિ થઈ હતી તેમજ રાજ્યપાલના આવા સરળ વ્યક્તિત્વથી ઉપસ્થિત રેલયાત્રીઓ પ્રભાવિત થયા હતા.
મહત્વનું છે કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. જે અનુસંધાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
