અમદાવાદના ખોખરામાં એપાર્ટમેન્ટમાં આગ લાગી, લોકોના બહાદુરીભર્યા પ્રયત્નોથી મોટી દુર્ઘટના ટળી
Live TV
-
આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની 7 ગાડી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટના સી-બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી.
એપાર્ટમેન્ટના દાદરેથી ઊતરી શકાય એમ ન હોવાથી એક મહિલા પોતાની બે બાળકીને એક માળથી ટિંગાળીને નીચેના માળે રહેલા લોકોને આપે છે. આ પછી મહિલા ખુદ ઉપરના માળની દિવાલ પર લટકીને નીચે પડે છે, ત્યારે બે લોકો દ્વારા તેને પકડીને બચાવી લેવામાં આવે છે. ડિવિઝનલ ફાયર ઓફિસરે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'આગની ઘટનામાં કુલ 18 લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. આગ હવે કાબૂમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.' આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે.