અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આઈસીયુમાં ભીષણ આગથી 8ના મોત, હોસ્પિટલ સીલ
Live TV
-
આગમાં કોરોનાના 8 દર્દીના મોત, અન્ય દર્દીઓ ખસેડાયા એસવીપી હોસ્પિટલ, ICU વોર્ડ બળીને ખાખ
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ચોથા માળે મોડીરાત્રે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્પિટલમાં 40 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હતા. જેમાંથી આઠ લોકોના મોત થયા છે. જો કે અન્ય દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ. એ. એસ. અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.. આ ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમજ ઘાયલો માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘાયલ લોકોને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે પ્રધાનમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.
