અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાના નિવારણ માટે આરોગ્ય વિભાગની સઘન કામગીરી
Live TV
-
આરોગ્ય વિભાગ દ્વારા ગામોમાં પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરીનેશન, પાણીના નમૂનાઓની તપાસ, ફોગિંગ, એન્ટી-લાર્વલ પ્રવૃત્તિ, દવાનો છંટકાવ તથા સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં પડેલા વરસાદને પગલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ અને નિવારક કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં આરોગ્ય ટીમો સતત કાર્યરત છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગામોમાં પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરીનેશન, પાણીના નમૂનાઓની તપાસ, ફોગિંગ, એન્ટી-લાર્વલ પ્રવૃત્તિ, દવાનો છંટકાવ તથા સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આશા, ANM, MPHW અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ તાવ, ઝાડા-ઉલટી, કમળો, ટાઈફોઇડ અને અન્ય પાણીજન્ય રોગોના લક્ષણો ધરાવતા દર્દીઓની ઓળખ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારોને ORS પેકેટ અને ઝિંક ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીન ટેબ્લેટ્સ આપવામાં આવી રહી છે તેમજ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ સમજ આપવામાં આવી રહી છે.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ કરેલું પાણી જ પીવું, હાથની સ્વચ્છતા જાળવવી, ખુલ્લામાં વેચાતા ખોરાકનો ઉપયોગ ટાળવો, આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી અને તાવ, ઝાડા, ઉલટી અથવા કમળાના લક્ષણો જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો.
અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય ટીમોને એલર્ટ રાખવામાં આવી છે જેથી કોઈપણ સંભવિત રોગચાળાને સમયસર નિયંત્રણમાં લઈ શકાય. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અનુરોધ કર્યો છે.
