અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે સાકાર થશે
Live TV
-
ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે તેમ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે.
આ પ્રોજેક્ટના આયોજન - પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પીઆઈયુના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક અંગે વધુ વિગતો આપતા આરોગ્ય મંત્રી પ્રફુલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી વર્ષ 2030માં કોમનવેલ્થ તથા વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત પ્રયાસરત છે.મંત્રીએ કહ્યું કે, રાજ્યના રમતવીરોને વૈશ્વિક સ્તરની તબીબી અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ મળી રહે તે માટે આ ઈન્સ્ટિટ્યૂટ આશિર્વાદરૂપ સાબિત થશે. સમગ્ર આયોજનની રૂપરેખા આપતાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, આપણું લક્ષ્ય માત્ર સારવાર આપવાનું નથી, પરંતુ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું ગ્લોબલ હબ બનાવવાનું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં સ્પાઈન સર્જરીમાં એકપણ ઇન્ફેકશનનો કેસ આવ્યો નથી, તે બદલ આરોગ્ય મંત્રીએ તબીબોને અભિનંદન પાઠવ્યા હતા.
આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ સંકુલમાં સુપર-સ્પેશિયાલિસ્ટ માનવબળ તૈયાર કરવા માટે અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કોલેજોની સ્થાપના કરવામાં આવશે તેમ જ સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન થઈ શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ પણ વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં દેશ-વિદેશના નિષ્ણાતો અહીં પોતાની સેવાઓ અને જ્ઞાનનો લાભ આપી શકે.પ્રસ્તાવિત સંકુલમાં સ્પાઇનના રોગો તેમજ રમતગમત સંબંધિત ઇજાઓના સચોટ નિદાન, સારવાર અને પુનર્વસન માટેની તમામ આધુનિક સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશ, તેમ પણ આરોગ્યમંત્રીએ ઉમેર્યું. ઉલ્લેખનીય છે કે અદ્યતન સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ ખાતે જટિલ સ્પાઇન સર્જરી, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર, વર્લ્ડ ક્લાસ રિહેબિલિટેશન સેન્ટર જેવી સુવિધાઓ આપવામાં આવશે.આ બેઠકમાં મંત્રીએ પ્રોજેક્ટની સમય મર્યાદા નક્કી કરવા, ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી કરવા માટે PIU અને વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
