ચાર સિંહો પકડાતા લોકોમાં રાહત, વન વિભાગે પણ આપ્યુ માર્ગદર્શન
Live TV
-
અમરેલી જિલ્લાના કોવાયા ગામમાં રેસ્ટોરન્ટ કર્મચારી પ્રકાશ ચંદ્રના સિંહના હુમલામાં થયેલા મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગની ટીમે સતત શોધખોળ અને ટ્રેકિંગ બાદ ચાર સિંહોને રેસ્ક્યૂ કરીને પકડી લીધા છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ગામલોકોએ વન વિભાગની ઝડપી કામગીરીને આવકારી છે અને હવે વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધી છે.
વન વિભાગ દ્વારા સિંહોના વર્તન અને ઘટનાના કારણોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ, દેખરેખ અને ટ્રેકર્સની સંખ્યા વધારવાના પગલાં લેવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.વન વિભાગે સ્થાનિક લોકોને ખાસ સાવચેતી રાખવા માટે માર્ગદર્શન પણ આપ્યું છે. રાત્રિ દરમિયાન બહાર નીકળતી વખતે ટોર્ચ અને લાકડી સાથે રાખવા, શક્ય હોય ત્યાં સુધી એકલા અવરજવર ટાળવા અને જૂથમાં મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, નોનવેજ ખોરાકની રસોઈ બાદ વધેલો કચરો ખુલ્લામાં ન ફેંકવા તથા તેને યોગ્ય રીતે જમીનમાં દાટી દેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તેની ગંધથી સિંહ સહિતના જંગલી પ્રાણીઓ આકર્ષાઈ શકે છે.ચાર સિંહોને પકડી લેવાતા સ્થાનિક રહેવાસીઓ અને આસપાસના ગામોના લોકોમાં ભય ઓછો થયો છે અને સામાન્ય જનજીવન ફરીથી સામાન્ય બનવાની આશા જાગી છે.
