અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાને પીપીપીના ધોરણે ડેવલપ કરશે
Live TV
-
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાને પીપીપીના ધોરણે ડેવલપ કરશે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 280 જેટલા બગીચાઓ બનાવવામાં આવેલા છે. અત્યાર સુધી બગીચાના સાર સંભાળ અને મેન્ટેનન્સની જવાબદારી અમુલ કંપની પાસે છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે અન્ય સંસ્થાઓને પીપીપી ધોરણે બગીચાઓ ડેવલોપ કરવા માટે આપવામાં આવી રહ્યા છે. શહેરના વાસણા, જોધપુર અને ગોતા વિસ્તારના ત્રણ બગીચાઓને યુ.એન. મહેતા ફાઉન્ડેશનને ડેવલોપમેન્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા બગીચાઓમાંથી હવે નવા બગીચા બનાવવા અને હયાત બગીચાઓને રિ- ડેવલોપમેન્ટ તેમજ મેન્ટેન કરવા માટે પીપીપી ધોરણે સોંપવામાં આવે છે. યુ.એન.મહેતા ફાઉન્ડેશનને સાયન્સ સિટી રોડ પર ગુલમહોર વિલાની બાજુમાં, જોધપુર ઔડા ગાર્ડન, આનંદિનકેતન સ્કૂલની પાસે તેમજ વાસણા જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલા સ્વ. હરેન પંડયા ગાર્ડનને પીપીપી ધોરણે ડેવલોપ કરવા માટે ફાળવણી કરવામાં આવી છે.
ત્રણે બગીચાને મેન્ટેન કરવાની અને સાર સંભાળ કરવાની તમામ જવાબદારી સંસ્થાની રહેશે. બગીચાને ડેવલપ કરી બગીચા- બગીચાનાં પ્લોટમાં સુંદરતા વધારવી તેમજ બગીચાની જાળવણી કરવાની સામે કોઈ પણ પ્રકારનાં ભાડુઆતના કે પ્રોપરાઈટર હકકો કે અન્ય કોઈ હકકો મળી શકશે નહીં. બગીચાનાં જે તે પ્લોટ પરનું નિયંત્રણ અને માલિકી સંપૂર્ણપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની રહેશે. કંપનીએ બગીચા સવારે 6થી રાતે 10 સુધી બગીચો તમામ જાહેર જનતા માટે ખુલ્લો રાખવાનો રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 250થી વધુ બગીચાઓ અમુલ કંપનીને ડેવલોપ કરવામાં આવ્યા છે, પરંતુ અમુલ કંપની દ્વારા હવે બગીચાઓની યોગ્ય સાર સંભાળ કરવામાં આવતી નથી. બગીચાઓમાં રમત-ગમતના સાધનોથી લઈને બગીચાની જાળવણીમાં ધ્યાન આપવામાં આવતું ન હોવાના કારણે હવે બગીચાઓ અન્ય સંસ્થાઓને સોંપવામાં આવી રહ્યા છે. અમુલ કંપનીની અનેક ફરિયાદો મળ્યા બાદ નવા બગીચાઓ હવે અન્ય કંપનીઓને સોંપવામાં આવશે.
