અમદાવાદ રથયાત્રા: AMC દ્વારા 13 કિમી લાંબા રૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સફાઈનું વ્યાપક આયોજન
Live TV
-
ભગવાન જગન્નાથજીની 149 મી રથયાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્વચ્છ રીતે સંપન્ન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. 13 કિમીથી વધુ લાંબા રથયાત્રા રૂટ પર માર્ગ સમારકામથી લઈને ફાયર સેફ્ટી અને આરોગ્ય સુવિધાઓ સુધીની તમામ કામગીરી પૂર્ણતાના આરે છે.
AMCના એસ્ટેટ વિભાગે રથયાત્રા રૂટ પર આવેલા 633 ભયજનક મકાનોને ચિહ્નિત કરી જાહેર ચેતવણીની નોટિસ લગાવી છે. અકસ્માત નિવારવા માટે આ મકાનો પાસે પોલીસ સાથે AMCના કર્મચારીઓ તૈનાત રહેશે અને ફિક્સ બેરિકેડિંગ કરવામાં આવશે. ઈજનેર વિભાગ દ્વારા રૂટ પર 1800 મીટર રોડ રીસરફેસિંગ, પેચવર્ક અને ફૂટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત, રૂટ પર 560 વધારાની ફ્લડલાઇટ્સ અને 11 ડીઝલ જનરેટર સેટની વ્યવસ્થા કરાઈ છે.યાત્રાળુઓની સુવિધા માટે 15 મેડિકલ ઓફિસર અને 100 કર્મચારીઓ સાથે 7 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત રહેશે. ફાયર વિભાગના 203 કર્મચારીઓ સતત ફરજ પર તૈનાત રહીને સુરક્ષા સુનિશ્ચિત કરશે.
પોલીસના ઉતારા અને ભીડભાડ વાળા વિસ્તારોમાં 15 મોબાઇલ ટોયલેટ વાન મુકવામાં આવશે.12 જુલાઈથી જમાલપુર, ખાડિયા, દરીયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ થશે. 16 જુલાઈ, રથયાત્રાના દિવસે કુલ 440 કર્મચારીઓ સ્વચ્છતા કામગીરી સંભાળશે. કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર-ટુ-ડોર વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને ‘407’ પ્રકારના વાહનો ફાળવવામાં આવ્યા છે. સરસપુર-રખિયાલ વોર્ડમાં પણ વિશેષ સફાઈ વ્યવસ્થા હેઠળ 13 ડોર-ટુ-ડોર વાહનો તૈનાત કરવામાં આવશે.AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, રથયાત્રા નિર્વિઘ્ને અને સ્વચ્છતા સાથે પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને વ્યાપક તૈયારીઓ કરી લેવામાં આવી છે.
