આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું મહત્વ સમજાવવા શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
Live TV
-
થલતેજની અનુપમ સ્કૂલથી હાથીની અંબાડી પર ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું
આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું મહત્વ સમજાવવા તેમજ માતૃભાષાના જતન અને સંવર્ધન માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 'મારા હસ્તાક્ષર, મારી માતૃભાષા' શિર્ષક સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વિશ્વ માતૃભાષા દિવસની રાજયકક્ષાની ઉજવણી અમદાવાદમાં યોજાઇ, જેની અંતર્ગત થલતેજની અનુપમ સ્કૂલથી હાથીની અંબાડી પર ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. બે કિલોમીટરની આ શોભાયાત્રામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભજન, લોકગીતો, ઊર્મિગીતો, ગરબા તેમજ દાંડીયા રાસની રમઝટ જમાવવામાં આવી હતી. બાયસેગ દ્વારા રાજયની તમામ શાળા -કોલેજોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નવલ કથાકાર દેવશંકર મહેતા સ્મારક વ્યાખ્યાન માળાના ભાગરૂપે 102 વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જકો, અધ્યાપકો અને કેળવણીકારો એક જ દિવસે અલગ-અલગ સ્થળો પર વ્યાખ્યાનો આપશે. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયમાં માતૃભાષા દિવસે ગ્રંથોનું પ્રદર્શન રસ દર્શન કરવાની પહેલ શરૂ થઈ છે તથા સાંપ્રત સાહિત્ય વિર્મશ શ્રેણી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા આજે માતૃભાષા દિવસ નિમિત્તે પરિસંવાદ અને પારિતોષિક કાર્યક્રમ યોજાયા છે. લેક્સિકનના સ્થાપક રતિલાલ ચંદરયાની સ્મૃતિમાં ગુજરાતી ભાષા, બોલી અને સાહિત્યને ડિજીટલ કરવા માટેની મહત્વની કામગીરી કરનારને એક લાખ રૂપિયાનો રતિલાલ ચંદરયા એવોર્ડ એનાયત થશે.
ગુજરાત વિદ્યાપીઠમાં આજે વિશ્વ માતૃભાષા દિન કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના 3 શિક્ષકોને સન્માનિત કરાયા છે. શાળા કક્ષાએ ગુજરાતી ભાષા શિક્ષણમાં કરેલા નવતર પ્રયોગો અંગે પરિસંવાદ યોજાશે. આ કાર્યક્રમમાં માતૃભાષા અભિયાનના પ્રકલ્પ દાદા-દાદીનો ઓટલો અંતર્ગત ભાષા અને સંસ્કૃતિ માટે નિઃસ્વાર્થપણે સેવા આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે.