આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ : ઉદ્યોગકારોના બાકી લેણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના, ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન
Live TV
-
જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા ૧૩૩ કરોડની રાહત મળશે.
જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત ૧૫૩૧૫ ઉદ્યોગકારોને રૂ.૯૫ કરોડની રાહત મળશે. જી.આઇ.ડી.સી. દ્વારા પ્રતિ વર્ષ ૨ ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી અંદાજે રૂ.૬૦ કરોડની રાહત આપવામાં આવશે. જેનો ૩૭૩૩ ઉદ્યોગકારોને લાભ મળશે.
જીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે. વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી ૧૫ ટકાના સ્થાને ૧૦ ટકા વસુલવામાં આવશે. જે અન્વયે ૧૯૯૧ ઉદ્યોગકારોને રૂ. ૪૦.૪૨ કરોડનો લાભ મળશે.જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે. વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. ૨૬.૮૦ કરોડની રાહત મળશે.
જી.આઈ.ડી.સી. દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા ૧૪.૩૦ કરોડની રાહત મળશે. જેનાથી ૩૧૦૦ ઉદ્યોગકારોને લાભ થશે..લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી વધારી આપવામાં આવશે. જેનાથી ૫૧૮ ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.૩.૩૧ કરોડની રાહતનો લાભ મળશે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. ૩૮.૯૮ કરોડની રાહત મળશે.વધુમાં, આ નિર્ણયથી જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.૨૧.૪૫ કરોડની રાહત મળશે. જેના થકી ૨૭૦૦ ઉદ્યોગકારોને લાભ મળશે.
આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે. જેનાથી ૭૨૭ ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.૧૬.૧૨ કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.
ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ ૨૦૨૦ના પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.૧.૩૨ કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. ૦.૫૨ કરોડ થાય છે, જેનો લાભ ૧૯૨૬૭ ઉદ્યોગોને મળવાપાત્ર થશે.
કોવિડ-૧૯ને કારણે ઉદભવેલ પરિસ્થિતિમાં જીઆઇડીસી દ્રારા કામચલાઉ મોબાઈલ (સ્થળાંતર થઈ શકે તેવા) અથવા ભવિષ્યમાં દુર કરી શકાય તેવા બાંધકામને જે તે ઔદ્યોગિક પ્લોટ પર મજુરોને રહેણાંકની સુવિધા માટે લોકડાઉનની માર્ગદર્શિકાને સંતોષવા/ પુર્ણ કરવા લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધી અથવા માર્ચ- ૨૦૨૧ બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે.
જીઆઇડીસી દ્ધારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા ૩-૪ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા જીઆઇડીસીને રજૂઆત કરવામાં આવે છે. આ પ્રકારના કિસ્સાઓમાં જીઆઇડીસી મોરેટોરિયમ પીરીયડ ૧-૨ વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસીઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ ૧ વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે ૩૫૨ ઉદ્યોગકારોને રુ. ૭.૮૯ કરોડની રાહત મળશે.
હાલ જીઆઇડીસીના ૧૬૩૫ ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.૩૧-૦૩- ૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે. જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSME ને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ ૧૪૨૮ લાભાર્થીઓને મળશે.
જીઆઇડીસીમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના ૨૦ ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે.આ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.
