આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મહેસાણાના વડસ્મામાં આયુષ મેળાનું ઉદ્ઘાટન કરાયું
Live TV
-
મહેસાણા જિલ્લાના વડસ્મામાં આવેલ શ્રી સત્સંગી સાકેત ધામ રામ આશ્રમ ખાતે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આયુષ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના 33 જિલ્લાઓમાં આગામી સમયમાં યોજાનાર આયુષમેળાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કુપોષિત કિશોરીઓને પોષણકીટ ,તેમજ એનીમિયા નિવારણ અંતર્ગત પાંડુ રોગની ખામી દૂર કરવા માટે અપાતી ધાત્રી લોહ કેપ્સુલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પુષ્ય નક્ષત્ર અંતર્ગત બાળકોના સારા સ્વાસ્થ્ય અને શારીરિક માનસિક વિકાસ માટે આપવામાં આવતા સુવર્ણપ્રાશનના ટીપાં બાળકોને પીવડાવવામાં આવ્યાં હતાં. તો વૃદ્ધાવસ્થામાં રોગપ્રતિકારક શક્તિવર્ધક દવા જીરિયાટ્રિકનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. અગ્નિકર્મ ચિકિત્સા પદ્ધતિનું નિરીક્ષણ પણ આરોગ્યમંત્રીએ કર્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર અને લોકોમાં આયુર્વેદ અંગે જાગૃતિ આવે એવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. નવી ચિકિત્સા પદ્ધતિઓ અને બ્રિટિશ હકુમતના ગુલામી કાળને લીધે આપણી પરંપરાગત આયુર્વેદ સારવાર પદ્ધતિ ક્યાંક વિસરાઈ છે. આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવ્યો છે. ત્યારે આપણી વરસાગત ઓળખ અને પરંપરા એવા યોગ, પ્રાણાયામ અને આયુર્વેદને પુનઃજાગૃત અને પુનઃ સ્થાપિત કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. આદિવાસી વિસ્તારમાં જોવા મળતા સિકલસેલ એનીમિયા માટે સ્ક્રીનીંગની કામગીરીથી આ રોગ પર નિયંત્રણ મેળવી શકાયું છે. ભારતના દરેક ઘરના રસોડામાં વપરાતા મસાલા પણ નાની-મોટી બીમારીઓમાં અકસીર છે એમ જણાવી મંત્રી ઋષિકેશ પટેલે ડોશી વૈધું અપનાવવાની હિમાયત કરી હતી.
તાવ ,શરદી, ખાંસી, કળતર, ઉલટી ઉબકા જેવી જેવી સામાન્ય બીમારીઓમાં લોકોને એલોપથીની દવાઓ લેવાની ફરજ ન પડે એ માટે તેમજ લોકોની આરોગ્ય સુખાકારી વધે એ માટે મંત્રીએ દરેક જાહેર જગ્યાઓએ 'આયુર્વેદિક પેટી' મૂકવાના સૂચન સાથે આ માટેની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે માનવ જીવનને સુખમય અને સ્વસ્થ બનાવવાની પદ્ધતિ આયુર્વેદમાં છે. તો આપણે આયુર્વેદ અપનાવવું જોઈએ.
