આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક 4 હજાર રુપિયાનો વધારો કરાયો
Live TV
-
છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રુપિયા 4 હજારનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હેલ્થ વર્કર કર્મચારીઓને 130 દિવસનો કોવિડ ડ્યુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને 8 કિ.મી.ની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા 15 જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી 3 દિવસમાં થઈ જશે.
