આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને 'હાઉસિંગ ફોર ઓલ' હેઠળ આવાસો અપાશે
Live TV
-
ગુજરાત વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ.
મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.1.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ.2 લાખ મળી કુલ રૂ.3.50 લાખની સહાય ત્રણ તબક્કામાં ડી.બી.ટીના માધ્યમથી સીધા લાભાર્થીઓ ના ખાતામાં જમા કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 9.78 લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે તે પૈકી 8.63 લાખ આવાસો પૂર્ણ કર્યા છે જેમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે. જે માટે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાતને આ માટે 14 એવોર્ડ પણ મળ્યા છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધી BLC ઘટક હેઠળ 1,56,978 આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી 1,20,594 આવાસો પૂર્ણ થયા છે અને 36,384 આવાસો પ્રગતિ હેઠળ છે. આ માટે કેન્દ્ર સરકારના રૂ.1,938 કરોડ અને રાજ્ય સરકારના રૂ.2,656 કરોડ મળી કુલ રૂ.4,595 કરોડની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.
