ઉત્તર ગુજરાતમાં રુ. 399 કરોડના ખર્ચે બનાવાશે બે બ્રિજ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતને મોટી ભેટ આપી છે. ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 પર રુપિયા 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનાવવામાં આવશે. વધતા જતાં વાહનવ્યવહારને ધ્યાને લઈ આ સુવિધા આપવા નિર્ણય કરાયો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. જૂના-જર્જરિત પુલોના પુન: બાંધકામ - મજબૂતીકરણ અને સ્ટ્રક્ચર્સ મરામતથી રાજ્યમાં રોડ નેટવર્ક સુદ્રઢ કરવા નાણાં ફાળવણી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત વાહન વ્યવહારને વધુ સરળ બનાવવા ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે રૂ. 399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ - સ્ટેટ હાઇવે-55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર રૂ. 179 કરોડના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવશે. આ નવો બ્રિજ હયાત પુલની બાજુમાં નિર્માણ પામશે. હાલ ચાણસ્માને રાધનપુર સાથે જોડતા માર્ગ પર ગોચનાદ ગામ નજીક બનાસ નદી પર પુલ હયાત છે પણ તે 1965માં એટલે કે 59 વર્ષ પહેલા નિર્માણ પામેલો. આ પુલનો લાઈફસ્પાન પુરો થઈ જતા હવે નવો પુલ બનાવાશે.
અન્ય પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે રૂ. 220 કરોડના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે. મહેસાણાને હિંમતનગર સાથે જોડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે 1966માં એટલે કે 58 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે. આ હયાતપુલનો લાઇફ સ્પાન પૂર્ણ થઈ જવા ઉપરાંત રોડ સેફટી અને ટ્રાફિક પરિવહન ધ્યાને રાખીને 6 માર્ગીય પુલ નિર્માણ માટે અનુમતિ આપી છે.
આ સંદર્ભમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 પુલોના પુનઃ બાંધકામ માટે 113.64 કરોડ, 126 પુલ મજબૂતીકરણ માટે 166.77 કરોડ અને 2188 પુલો-નાળા- માર્ગોના સ્ટ્રક્ચર્સની મરામત માટે 2367 કરોડ રૂપિયા ફાળવેલા છે.
