કચ્છના ગામોને સ્વચ્છ કરવા ૬૦થી વધુ બહેનોએ ઉપાડી ઝુંબેશ
Live TV
-
અવધનગરના રાજીબેન ગ્રામીણ બહેનો પાસેથી પ્લાસ્ટીક એકઠું કરાવીને તેનું અપસાઇકલીંગ કરીને કરી સ્વચ્છતાક્ષેત્રે પ્રેરણાદાયી કામ કરી રહ્યા છે.
સ્વચ્છતા હી સેવા રાજયવ્યાપી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રાજયના ગ્રામ્ય તથા શહેરી વેસ્ટ પોલિથીનને લોકઉપયોગી ચીજવસ્તુનું નવું સ્વરૂપ આપીને કચ્છની સ્વચ્છતા અને પર્યાવરણને બચાવવા કચ્છની મહિલાઓ ખંતથી કાર્ય કરી રહી છે. અવધનગરના કુળદેવી કૃપા સખી મંડળની મહિલાઓ તથા તેના સાથે કચ્છના ગામે ગામેથી જોડાયેલી મહિલાઓ પોતાના ગામમાં ફરીને ઘરે ઘરેથી વેસ્ટ પોલિથીન એકત્ર કરીને ભુજ તાલુકાના અવધનગર પહોંચાડે છે. આમ, ગામની સ્વચ્છતામાં મહિલાઓ ફાળો આપવા સાથે આ પ્લાસ્ટિક વેંચીને સ્વરોજગાર પણ મેળવી રહી છે.
બીજી તરફ અવધનગરમાં કુળદેવી કૃપા સખી મંડળની મહિલાઓ આ પોલીથીનને ધોઇને તેના તાર બનાવીને તેમાંથી વણાટકામ કરીને લોકઉપયોગી વિવિધ વસ્તુઓ બનાવે છે. આ અંગે સખીમંડળના પ્રમુખ રાજીબેન વણકર જણાવે છે કે, એક કિલો પ્લાસ્ટીક કાપવાના રૂ. ૧૨૦ લેખે મજૂરી બહેનોને ચૂકવાય છે. ઉપરાંત શાળાઓમાંથી અને પ્લાસ્ટિક વીણતા બહેનો પાસેથી પ્રતિ કિલો રૂ.૧૫ના હિસાબે પોલિથીન એકઠું કરવામાં આવે છે. જયારે બાકીની બહેનો ૧૩ વણાટ મશીન પર વણાટકામ કરી કાપડ બનાવવાનું કામ કરે છે. જેમાંથી હાલ પર્સ, થેલા, હેન્ડ પર્સ, વોલેટ, ચશ્માના કવર, ટ્રે, ફોલ્ડર, તાલ મેટ, લેપટોપ બેગ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. દરેક બહેનને તેના કામ મુજબ મહેનતાણું આપવામાં આવે છે. અમારા આ કામથી ગામની સ્વચ્છતામાં મદદગારી મળી રહે છે ઉપરાંત્ બહેનો આવક પણ મેળવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્લાસ્ટીક માંથી વણાટકામની તાલીમ તેઓ બહેનોને પણ આપે છે. દેશ-વિદેશના અનેક બહેનો તેઓ પાસેથી ઓનલાઇન કે ઓફલાઇન તાલીમ મેળવી છે. તેઓની પ્લાસ્ટિકને રીસાઇકલ નહીં પરતું અપસાઇકલ કરવાની ઝુંબેશથી અનેક મહિલાઓના ઘર ચાલી રહ્યા છે. તેઓ ખરાઅર્થમાં વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાન તથા સ્વચ્છ ભારતના અભિયાનને આત્મસાત કરી રહ્યા છે.
અત્યારસુધી તેઓનું સખીમંડળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા યોજાતા પ્રદર્શની મેળામાં ભાગ લઇને પોતાની કળાના કામળ દેશ-વિદેશમાં પાથરી ચુકયા છે. તથા પોતાના નામથી એક અલગ બ્રાન્ડ શરૂ કરીને વસ્તુઓનું પણ વેચાણ કરે છે. બાયોડીગ્રેડેબલ અને પ્લાસ્ટીક વેસ્ટના ક્ષેત્રે રાજીબેનની કામગીરીની કદરરૂપે તાજેતરમાં જ તેઓને દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજીબેને જણાવ્યું કે, સરકાર દ્વારા આર્થિક તથા માર્કેટીંગ સહિતની જે સહાય આપવામાં આવે છે તેના કારણે મહિલાઓન સ્વનિર્ભર બની છે. હાલ જયારે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર કચ્છવાસીઓ આ અભિયાનમાં જોડાઇને પોતાનો વિસ્તાર, ગામ અને પ્રદેશ સ્વચ્છ કરવા પોતાનું યોગદાન આપે તથા દરેક જાહેર સ્થળે સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરી હતી.
