Skip to main content
Settings Settings for Dark

કચ્છી ખેડૂતોના બાવડામાં તાકાત છે અને રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે: મુખ્યમંત્રી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને વહીવટી મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે. આ અંગેની સૂચના તાજેતરની કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ યોજનાના વિકાસ કાર્યો આરંભી દેવાશે. આ યોજનાના પ્રથમ ફેઝનું કાર્ય શરૂ થતા જ બીજા ફેઝની પણ મંજુરી આપવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી આપવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કચ્છના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, શ્રેષ્ઠિઓ અને સ્થાનિક હોદ્દેદારો, સંતો-મહંતોએ ગાંધીનગરમાં ઉમળકાભર્યુ અભિવાદન કર્યું હતું.કચ્છીમાડુઓ દ્વારા અભિવાદનનો પ્રતિભાવ આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છી બોલીમાં વક્તવ્યની શરૂઆત કરી ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલી ઋણ સ્વીકાર કર્યો હતો. 

    મુખ્યમંત્રીએ કહ્યું કે, કચ્છને લીલોછમ્મ જિલ્લો બનાવવા સરકાર કટિબદ્ધ છે. રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ, નખત્રાણા, લખપત અને અબડાસા જેવા વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. કચ્છી ખેડૂતોના બાવડામાં તાકાત છે અને રાજ્ય સરકાર તેમની પડખે છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના પ્રાણ પ્રશ્નો ઝડપથી પૂરા થાય અને રાજ્યનું સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ થાય તે દિશામાં અનેક પગલાં લીધા હતા. વર્તમાન સરકાર એ જ પગલે આગળ વધી રહી છે અને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને ફળીભૂત કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છના ડિસેલિનેશન પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરી કહ્યું કે, રાજ્ય સરકારે આવા અનેક વિશિષ્ટ પ્રકલ્પોથી કચ્છ જિલ્લાના વિકાસને નવી ગતિ પ્રદાન કરી છે. 
    તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડવા છેલ્લા અઢી દાયકામાં ભાજપની સરકારે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. પીવાના પાણી માટે બેડા લઇ ભટકવું, દુકાળ અને હિજરતની પરિસ્થિતિને ભૂતકાળ બનાવી સરકાર ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવા કૂદકેને ભૂસકે આગળ વધી રહી છે. 

    ભૂતકાળમાં કચ્છમાં પીવાના અને સિંચાઇના પાણીના પ્રશ્નો અંગે કોંગ્રેસની સરકારે કશું કર્યું નથી ત્યારે આજે હવે કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના સરકારના આયોજનોને ઠાલા વચન ગણાવી પાણીમાંથી પોરા કાઢે છે. કોંગ્રેસે ગેરવ્યાજબી નિવેદનો કરવાના બંધ કરી વિકાસ કામોમાં ઊંબાડિયા નાખવાનું બંધ કરવું જોઈએ. તેવી નૂકચેતીની તેમણે કરી હતી. 
    મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, પાણી વગર વિકાસ શક્ય નથી આથી કચ્છના સર્વાંગી વિકાસ માટે કેવડિયાથી કચ્છ સુધીની ૫૫૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇન નાખી આ સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના વિગેરે આયોજન થકી રાજ્ય સરકારે નર્મદાના પૂરના પાણી જે નિરર્થક વહી જતા તેનો આયોજનબદ્ધ ઉપયોગ કર્યો છે ને ખેતરે ખેતરે આ પાણી પહોચાડયા છે. 

    નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત સરકારે નર્મદાના પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચાડવા માટે બજેટની માંગ સામે ફાળવણીમાં એક રૂપિયાનો પણ ઘટાડો ક્યારેય કર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ગુજરાતની ભાજપા સરકાર છેલ્લા અઢી દાયકાથી કચ્છમાં સિંચાઈ અને પીવા માટે નર્મદાનું પાણી ઠેરઠેર પહોંચાડવાના લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૬૦થી ૨૦૨૦ સુધી ૬૦ વર્ષ દરમિયાન નર્મદા મૈયાની ગુજરાતમાં યાત્રા અનેક પ્રશ્નો અને વિઘ્નો વચ્ચે આગળ વધતી રહી છે તે અંગે ગુજરાતની નવી પેઢીએ જાણવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, કચ્છના ખેડૂતો પ્રગતિશીલ છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં કચ્છી ખેડૂતો ગુજરાતમાં મોખરે છે. પહેલા વાગડનો માત્ર કપાસ વખણાતો, આજે કેરી સહિત અનેક પાકો માટે કચ્છ વિશ્વભરમાં જાણીતું બન્યું છે. 
    પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી કચ્છીમાડુઓના સપના પૂરા કરી તેમના દિલ જીતી લીધા છે. આવતી અષાઢી બીજે કચ્છના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે.

    વાસણભાઇ આહિરે ઉક્ત યોજના માટે કચ્છની જનતા જમીન સંપાદનમાં સંપૂર્ણ સહકાર આપશે તેની ખાતરી આપી હતી. આ પ્રસંગે જળ સંપતિ વિભાગ દ્વારા ઉપસ્થિતોને યોજનાના અમલીકરણ અને કાર્યવહન અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા પરીપૂર્ણ કરતી આ યોજનાથી કચ્છના ૬ તાલુકાઓના ૯૬ ગામોના ૩ લાખ ૮૦ હજાર લોકો અને ર લાખ ૩પ હજાર એકર જમીનને નર્મદા જળની સુવિધા મળશે. સરન જળાશય સહિત જિલ્લાના ૩૮ જળાશયોમાં નર્મદાના પાણી ભરાશે. ચેકડેમ તળાવોને પણ આ નર્મદા જળથી ભરી ભૂગર્ભ જળ ઊંચા લવાશે. પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી તેઓ આર્થિક સમૃદ્ધ બનશે અને પાણીના અભાવે થતું પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર અટકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply