કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે. આજે અષાઢી બીજના શુભ દિવસે તેમણે પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે નારદીપુર ગામ સ્થિત તળાવ પાસેના ઉગરી બા પંડિત બાલમંદિર અને શિશુ કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કલોલ નગર પાલિકાના 5, રૂપાલ ગામના 4, નારદીના 7 સહિતના વિવિધ ગામોના 55 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં નારદીપુર તળાવનું બ્યુટીફીકેશન અને તળાવ નજીક વૃક્ષારોપણ કરી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ સન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 500 લીટરની ક્ષમતાવાળા ઑક્સિજન પ્લાન્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લોકાર્પણ કર્યું હતું. 500 લીટરની ક્ષમતાવાળો બીજો પ્લાન્ટ સિવિલમાં શરૂ કરાયો છે. ઉપરાંત મહાત્મા મંદિર અને સિવિલ હોસ્પિટલ એમ બે સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ સાથેની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે નવી બનેલ ડ્રગ્સ લેબોરેટરીનું પણ ગૃહમંત્રીએ ઉદ્દઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે, 2009 માં પ્રધાનમંત્રીએ જે બીજ વાવ્યા હતા તે ફળીભૂત થવા સાથે ફોરેન્સિક યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાએ લઈ જવાના પ્રયત્નો સફળ થવા તે સરકાર માટે ગર્વની વાત છે. રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવી તે નિર્ણય ઉચિત અને યોગ્ય હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ સંદર્ભે કહ્યું હતું કે, રાજ્યના અને દેશના યુવાનો નશામુક્ત બને તેવા હેતુથી આ સેન્ટર ઊભું કરાયું છે. તેથી હવે ફોરેન્સિક યુનિવર્સિટીનું રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ વધ્યું છે.
તેઓએ અમદાવાદમાં બોપલ ખાતે ઔડા નિર્મિત પુસ્તકાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રૂ. 244 કરોડના ખર્ચની વિવિધ યોજનાઓનુ લોકાર્પણ તેમજ રેલવેના કામોનું ખાતમુહુર્ત કર્યુ હતું. તેમણે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં જળ વિતરણ યોજના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા સિવિક સેન્ટર સહિત અનેક યોજનાઓનું ઉદ્ધાટન કર્યુ હતું. આ સિવાય તેમણે વેજલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત, અદ્યતન પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કર્યુ હતું. બોપલમાં લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે સંબોધનમાં કહ્યું કે,આગામી 30 વર્ષ સુધી જેટલી પણ વસ્તી વધે તો પણ તેમને પાણીની કોઈ તકલીફ ન પડે તે પ્રકારનુ આયોજન કરાયું છે. આજે બપોર બાદ તેઓ અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકામાં કુલ 1 હજાર 120 વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમૂર્હત કરશે. આ કાર્યોમાં સાણંદ તાલુકાનાં 1062 કામ, બાવળા તાલુકાનાં 138 કામ, અને દસક્રોઈ તાલુકાનાં 20 કામનો સમાવેશ થાય છે.
