કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસમેલન 2025ના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે. ત્યારબાદ તેઓ મનિપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જેમાં અમદાવાદ શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે જેનું લોકાર્પણ કરાશે. અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના રૂપિયા 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે.
