કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી
Live TV
-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન અવસરની ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત તેમજ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી .
અમિત શાહે જણાવ્યું હતું કે, ભક્તિ, વિદ્યા અને બુદ્ધિના પ્રતિક ગણેશજીની પૂજાને સમર્પિત ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર સમગ્ર દેશ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર સમાજને ભાઈચારા, એકતા અને સામાજિક સદભાવના ભાવના દ્વારા જોડે છે. આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વૈવિધ્યપૂર્ણ રૂપને દર્શાવે છે. વિઘ્નહર્તા શ્રી ગણેશ સર્વેના જીવનમાંથી તમામ વિઘ્નો અને અવરોધોને દૂર કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ શ્રી શાહે વ્યક્ત કરી હતી.
અમિત શાહે સંવત્સરીના અવસર પર જૈન અને જૈનેતરને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ પાવન અવસર આત્મશુદ્ધિ અને ક્ષમાપના પર આધારિત છે, જેનાથી વૈચારિક શુદ્ધિ અને આહાર વિષે વિશેષ ચિંતન થાય છે. આ શુભ દિવસે આપણે સૌ એકબીજાને માફ કરી; સાદગી, સેવા અને માનવતાના મૂલ્યો સાથે જીવન જીવીએ, શાંતિ, સંયમ અને ધૈર્યને અપનાવીએ તે જ સાચા અર્થમાં આ તહેવારની ઉજવણી છે. સંવત્સરી માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પરંતુ વૈશ્વિક માનવ કલ્યાણનો સંદેશો આપનાર પર્વ પણ છે. આ તહેવારો આપણને સંસ્કાર અને સંવેદનશીલતા સાથે જીવન જીવવા અને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
અમિત શાહે અંતમાં સૌ સાથે મળી મહાન, વિકસિત, સમૃદ્ધ, શક્તિશાળી, સુરક્ષિત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ બનાવવાના આ કાર્યમાં પ્રત્યેક નાગરિકને સહભાગી થવા અપીલ પણ કરી હતી.
