કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 'શ્રી અન્ન' બાજરીના મહત્વ વિશે ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો
Live TV
-
બાજરો અને બાબરકોટ એકબીજાના પર્યાય, આપણી પ્રાચીન સભ્યતાના ભાગ 'શ્રી અન્ન'ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વૈશ્વિક ઓળખ મળતા મિલેટ્સની માંગ વધશે અમરેલી જિલ્લાના ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે અને ગાય આધારિત ખેતી કરવા અનુરોધ કરતા કેન્દ્રીય મંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોના કારણે ભારતના જાડા ધાન્ય 'શ્રી અન્ન'ને નવી વૈશ્વિક ઓળખ મળી છે. વર્ષ 2023ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો પારંપારિક જાડા ધાન્યમાં બાજરીની ખેતી વિશે વૈજ્ઞાનિક અને આધુનિક કૃષિ લગતી માહિતી મેળવે તેવા હેતુથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રી પરષોતમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને એક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો સાંભળી કેન્દ્રીય મંત્રી તેમજ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક પ્રવચનમાં અમરેલી જિલ્લાના બાબરકોટના સુપ્રસિદ્ધ બાજરાના પાક વિશે કરેલા ઉલ્લેખ કર્યો હતો, તેમની એ વાતને ટાંકતા કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, 'શ્રી અન્ન' એટલે કે જુવાર, બાજરી, નાગલી વગેરે એ ભારતની પ્રાચીન સભ્યતાનો ભાગ રહ્યા છે. જ્યારે બાબરકોટની વાત આવે ત્યારે ત્યારે બાબરકોટ અને બાજરો એકબીજાના પર્યાય છે. બાબરકોટના બાજરાના સેમ્પલનું આઈ.સી.આર. દ્વારા પરીક્ષણ કર્યા બાદ તેને શ્રેષ્ઠ ગુણવત્તાનો બાજરો હોવાનું તારણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આપણા શ્રી અન્નને વૈશ્વિક ઓળખ મળતા તેની માંગ વધવાની છે.આ સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં 'શ્રી અન્ન'ના સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત વિકસી આવે અને વૈશ્વિક માંગને પહોંચી વળી શકીએ તેવી રીતે ખેડૂતો 'શ્રી અન્ન'ની ખેતી કરે તેવું સૂચન કેન્દ્રીય મંત્રીએ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને નેનો યુરિયાનો ઉપયોગ કરવાનું સૂચન કર્યુ હતુ. જ્યારે 'શ્રી અન્ન'ની ખેતી કરતા ખેડૂતોને ગાય આધારિત અને અત્યાધુનિક ઢબે ખેતી કરવાનું સૂચન કર્યું હતું.
ભારત સરકાર દ્વારા ખેડૂતોને વધુ સારું બિયારણ પહોંચાડી શકાય તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે પણ તેમણે જણાવ્યું. તેમણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ, ડ્રીપ ઈરિગેશન આધારિત વૈજ્ઞાનિક ઢબની ખેતી અપનાવી વધુ ઉત્પાદન મળી શકે છે તેમ હોય ખેડૂતોને આ પદ્ધતિઓ અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, ખેડૂતોની ઉપજને માર્કેટીંગના અભાવે સારો અને પોષણક્ષમ ભાવ ન મળે તેવી સ્થિતિ ન નિર્માણ પામે તેથી ગુજકોમાસોલ ખેત ઉપજ ખરીદી અને તેનું માર્કેટિંગ કરશે. તેમણે ભારત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રે કરવામાં આવી રહેલી ખેડૂતલક્ષી કામગીરીની પણ વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે એનસીસીએસડીના ચેરમેન ડૉ.કિરીટ શેલતે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં મહેમાનોને 'મિલેટ બોક્સ' આપી આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ ડૉ. ચોવટીયા તેમજ અધિકારીઓ, ખેડૂતો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.