કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ; રસીના એક કરોડથી વધુ ડોઝની સંગ્રહ ક્ષમતા
Live TV
-
17,128 વેક્સિનેટર્સ સહિત 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રસીકરણ ઝુંબેશમાં જોડાશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરાઈ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિની ઉપસ્થિતિમાં કોર કમિટિની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોર કમિટિની બેઠકમાં 16 જાન્યુઆરીથી શરુ થવા વાળા રસીકરણ અભિયાન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ એ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં એક કરોડથી વધુ રસીના ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા પહેલાથી જ ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ 16 જાન્યુઆરીથી શરુ થનારા રસીકરણ અભિયાન માટે 17 હજાર 128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ સહિત 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ, 27,934 સેશન સાઈટ અને 2,236 કોલ્ડ ચેઈન પોઈન્ટ, રાજ્યની 3,084 સરકારી આરોગ્ય સંસ્થાઓ અને 15,942 ખાનગી આરોગ્ય સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને આ ઝુંબેશમાં જોડાવા માટે સુસજ્જ કરી દેવામાં આવ્યા છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, આ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગ, અન્ય વિભાગો, ડેવલપમેન્ટ પાર્ટનર તથા સ્વૈચ્છિક સંસ્થાઓના અંદાજે 2 લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે.
આ રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સરકારી તથા ખાનગી આરોગ્ય કાર્યકરોને રસીકરણમાં પ્રાધાન્ય આપવામાં આવશે, આ માટે 4.33 લાખથી વધુ હેલ્થ કેર વર્કર્સની વિગતો એકત્ર કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સાથે જોડાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાધાન્ય અપાશે. આ માટે અત્યાર સુધીમાં 3.47 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. ત્યારે બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 1.06 કરોડ લોકો તથા 50 વર્ષથી ઓછી ઉંમરના અન્ય બિમારી ધરાવતા 2.71 લાખ વ્યક્તિઓની માહિતી તૈયાર કરવામાં આવી છે.
રસીકરણના સફળ આયોજન માટે અને માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર્સના એક્સપર્ટ ગ્રુપની રચના પણ કરવામાં આવી છે.
