ગાંધીજીની જન્મજયંતિએ રાજ્યભરમાં “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવાશે: મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
1લી ઓક્ટોબરે રાજ્યમાં શ્રમદાન અંતર્ગત સ્વચ્છતાની વિવધ પ્રવૃતિઓનું આયોજન કરાશે: મંત્રી ઋષિકેશ પટેલ
પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને ચરિતાર્થ કરવા માટે તેમની જન્મ જયંતિ તા. 2જી ઓક્ટોબરને રાજ્યભરમાં “સ્વચ્છ ભારત દિવસ (SBD)” તરીકે ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ ૨ હેઠળ રાજ્યવ્યાપી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ તથા સ્વચ્છ ભારત મિશન-શહેરી દ્વારા સંયુક્ત રીતે તા. 15મી સપ્ટેમ્બર થી 15મી ઓક્ટોબર-2023 સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યુ કે, તા.1લી ઓકટોબર-2023ના રોજ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત દેશનાં તમામ ગામડાઓમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ લોક ભાગીદારી સાથે સવારે 10 કલાકે એક કલાક માટે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરાશે. નિયત કરવામાં આવેલા સ્થળ પર એક કલાકમાં કચરાની સંપૂર્ણ રીતે સફાઈ માટે જરૂરી આનુસાંગિક સુવિધાઓ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ બનાવાશે. માનવબળની ગણતરી કરી દરેક સ્થળ પર જન-ભાગીદારી માટે પ્રયત્નો સુનિશ્ચિત કરવામાં આવનાર છે. તેમજ “સ્વચ્છતા હી સેવા” પોર્ટલ (https://swachhatahiseva.com) પર શ્રમદાન માટે ગામદીઠ નક્કી કરવામાં સ્થળ, શ્રમદાન માટે જરૂર લોકોની સંખ્યા, સંપર્ક વગેરે જેવી માહિતી સ્થળોનાં મેપ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યુ કે, શ્રમદાનનાં અંતમાં એકત્રિત કચરાનાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ તથા MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે રૂટ બનાવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સંપૂર્ણ શ્રમદાન 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ' ગતિવિધિ બને, તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે, રાજ્યનાં તમામ ગામોમાં આ શ્રમદાનના કાર્યક્રમોમાં કેન્દ્રીય અને રાજ્યમંત્રી મંડળના સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા/તાલુકા પંચાયતોનાં પદાધિકારીઓ અને સભ્યો, સરપંચ અને ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને શ્રમદાન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, રાજયના ગ્રામીણ વિસ્તારોમાં વધુમાં વધુ સ્વચ્છતા કેળવાય તે માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તા.15.09.2023 થી તા.25.09.2023 સુધીમાં 32,475 જેટલી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં જન ભાગીદારી દ્વારા ગામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 70,89,388 ગ્રામ્ય પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત તા.24.09.2023 સુધી રાજયની અંદાજીત 7 લાખથી વધુ SHG બહેનો દ્વારા 12,000 થી વધુ ગામડાઓમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું છે.
