ગાંધીનગરમાં પર્યાવરણ અને વિકાસ અંગે બે દિવસીય ચિંતન શિબિર સંપન્ન: GPCB ઉદ્યોગોના 'મિત્ર અને માર્ગદર્શક' બનશે
Live TV
-
ગાંધીનગર: રાજ્યના વન-પર્યાવરણ વિભાગ અને GPCB દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય કાર્યશિબિરનું સમાપન થયું હતું.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં રાજ્યને પ્રદૂષણમુક્ત અને વિકાસલક્ષી બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.મંત્રીએ અધિકારીઓને ઉદ્યોગોના 'મિત્ર અને માર્ગદર્શક' તરીકે કામ કરવા તથા સતત સંવાદ જાળવવા સૂચના આપી હતી. દંડાત્મક કાર્યવાહીને બદલે નિયમ પાલન કરનાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો.GPCBના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, ભવિષ્યમાં નવી ઇન્ડસ્ટ્રીઝને ત્યાં જ મંજૂરી અપાશે જ્યાં CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની સુવિધા ઉપલબ્ધ હોય, જેથી પ્રદૂષણ મોનિટરિંગ સરળ બને. પર્યાવરણ સુધારણા માટે વટવા મોડેલને સમગ્ર રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું. GPCB અધ્યક્ષ આર. બી. બારડે જણાવ્યું કે, આ શિબિર ગુજરાત માટે એક 'વિચાર યાત્રા' સમાન રહી, જે વિકાસ અને પર્યાવરણના સમતુલા સાધવામાં મદદરૂપ થશે.આ કાર્યશિબિરના તારણોના આધારે અર્બન ડેવલપમેન્ટ, ટ્રાન્સપોર્ટ અને વોટર રિસોર્સીસ જેવા વિવિધ વિભાગો હવે પોતાના એક્શન પ્લાન તૈયાર કરશે, જે ગુજરાતને 'પર્યાવરણ પ્રત્યે જવાબદાર' બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
